ટેલિવિઝનનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકડાઉન બાદથી જ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ગેરહાજરી દર્શકોને પજવી રહી છે. ગાઈડલાઈન મુજબ ઘનશ્યામ 65 વર્ષથી વધુ ઉંમરના હોવાને કારણે સેટથી દૂર રહ્યા હતા. હવે જ્યારે પરવાનગી મળી છે, ત્યારે નબળા સ્વાસ્થ્યને કારણે અભિનેતા પાછા ફરી શક્યા નથી. એવું કહેવામાં આવે છે કે ગળામાં ગાંઠ હોવાને કારણે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરોએ તેમને સર્જરી કરાવવા માટે કહ્યું છે.
ઘનશ્યામ નાયકના ગળામાં ગાંઠ છે, જેમાં કેટલાક દિવસોથી તકલીફ વધી ગઈ છે. તપાસ કરાવવા પર, ડોકટરોએ તેમને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપી, જે પછી 6 ઓગસ્ટે સર્જરી કરવામાં આવી છે. અત્યારે તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે પરંતુ સાવચેતીના પગલા તરીકે તેમને દાખલ રાખવામાં આવ્યા છે.
તારક મહેતા શો સાથે સંકળાયેલા એક સ્ત્રોતે અંગ્રેજી મીડિયાને માહિતી આપી છે કે ઘનશ્યામના ગળામાં ગાંઠ હતી જેની સર્જરી પણ થઈ ગઈ છે. ઘનશ્યામ સ્વસ્થ થતાં જ શૂટિંગ શરૂ કરશે. શો માટે નટ્ટુ કાકાનું પાત્ર ખૂબ મહત્વનું છે અને તેમના ન હોવાને કારણે ચાહકો તેમની કોમિક ટાઈમિંગ મિસ કરી રહ્યા છે.
ઘનશ્યામ નાયકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે શોના નિર્માતા અસિત મોદીને વિનંતી કરી હતી કે તેઓ જલ્દી સેટ પર બોલાવે. ઘનશ્યામે કહ્યું, ‘તેઓએ મને ખાતરી આપી છે કે તેઓ મને તેમના ઘરથી સેટ અને ત્યારબાદ સેટથી ઘરે લઈ જવાની પણ વ્યવસ્થા કરશે.’
લોકડાઉન પછી 65 વર્ષથી વધુ ઉંમરના અભિનેતાઓને શૂટિંગ કરવાની મંજૂરી નહોતી. પરંતુ જ્યારે મંજૂરી મળી ત્યારે ઘનશ્યામ એકદમ ખુશ હતા. તેમણે કહ્યું, હું ખૂબ જ ખુશ છું કારણ કે અંતે વરિષ્ઠ કલાકારને કામ કરવાની તક મળી. હું ઘણા વરિષ્ઠ કલાકારોને જાણું છું જેઓ તેમના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગે છે. હું પણ તેમાંથી એક છું.
અમારે ઘરે બેસવાનો કોઈ ફાયદો નથી. હું સંપૂર્ણ રીતે ફીટ છું અને મારી અંતિમ ક્ષણ સુધી કામ કરવા માંગુ છું. હા, જો તમારું સ્વાસ્થ્ય નાજુક છે, તો દેખીતી રીતે આ વાતાવરણમાં ઘર છોડવું સલામત નથી. પરંતુ જો તમને કામ કરવાની છૂટ છે, તો સંપૂર્ણ કાળજીથી શૂટિંગ કરવું એ કોઈ ખોટી વાત નથી. અમિતાભ બચ્ચન મારા કરતા મોટા છે, તેઓ કામ કરી શકે છે, તો હું કેમ નહીં?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નવા એપિસોડ શરૂ થયા છે, જેમાં નવી અંજલિ ભાભી સુનૈના ફોજદાર અને સોઢી પણ જોવા મળી રહ્યો છે. ઘનશ્યામની વાપસી પણ ટૂંક સમયમાં થવાની હતી પરંતુ તેમની તબિયત લથડવાને કારણે તેમને આગળ ધપાવી દેવામાં આવી છે.