તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો ખુશ છે કે આ શો ફરી એકવાર પ્રસારિત થવા લાગ્યો છે. જૂના એપિસોડ્સ લોકડાઉનમાં દર્શાવવામાં આવ્યા હતા પરંતુ હવે નવા એપિસોડ્સના શૂટિંગ પછી આ શો ફરી શરૂ થયો છે. જો કે, કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે,ભૂમિકા ભજવનારા કેટલાક કલાકારો આ શો છોડી શકે છે.
આ દરમિયાન શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલ ચાહકો માટે સારા સમાચાર લઈને આવી છે. તેણે શોને છોડી ચૂકેલી દિશા વાકાણી એટલે કે દયા બેનની ફરીથી એન્ટ્રી થાય એવાં સંકેતો આપ્યા છે.
અંગ્રેજી સમાચારપત્રને આપેલા એક ઇન્ટરવ્યુમાં જેનિફરે કહ્યું હતું કે, હું દિશાને સેટ પર બહુજ મિસ કરુ છુ, પરંતુ હું સમજી શકું છું કે આ સમયે તેના માટે તેની પુત્રી સ્તુતિની સંભાળ લેવી વધુ મહત્વપૂર્ણ છે. તે પરિવારને સમય આપવા માંગે છે અને તેમાં તે ખુશ પણ છે પરંતુ મને ખબર છે કે તે જલ્દીથી શોમાં પરત ફરશે.’
પહેલાં પણ ઘણીવાર આવી ચૂક્યા છે પાછા ફરવાના અહેવાલ
આ પહેલાં ગયા મહિનાની શરૂઆતમાં, જ્યારે આ શોને 12 વર્ષ પૂરા થયા હતા, ત્યારે સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓ એક ખાસ એપિસોડની તૈયારી કરી રહ્યા છે, જેમાં દિશા પણ દેખાઈ શકે છે. આ સમાચારો પર નિર્માતા અસિત મોદીએ વાતચીતમાં કહ્યું, “શૂટિંગ પહેલા શરૂ થવા દો, આ બધી બાબતો પર અત્યારે ચર્ચા કે ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી.”
દિશા સપ્ટેમ્બર 2017થી શોથી દૂર છે
દિશા સપ્ટેમ્બર 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી. તેણે નવેમ્બર 2017 માં એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ ત્રણ વર્ષ પછી, પ્રેક્ષકો હજી પણ તેના પાછા ફરવાની રાહમાં છે.
આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે દિશાના પતિ મયુર પડિયાએ દિવસના માત્ર 4 કલાક અને મહિનામાં માત્ર 15 દિવસ અભિનેત્રી માટે કામ કરવાની શરત રાખી હતી, જેને નિર્માતાઓએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.