મુંબઈઃ ‘તારક મેહતા…’ના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે શોની શૂટિંગ ફરી શરૂ થઈ ગઈ છે. શોના ચીફ ડિરેક્ટર માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. માલવે લખ્યું કે, ‘ROLL…ROLLING…ACTION…115 દિવસ બાદ શૂટિંગ ફાઈનલી શરૂ થઈ. કામ શરૂ કરી સારુ લાગ્યું. ફરીવાર હસવા માટે તૈયાર થઈ જાવ.’
માલવની પોસ્ટ પર તેમની પત્ની પ્રિયાએ લખ્યું કે,‘લવ યુ માલવ…તમારા કામ અંગે ઘણી ખુશ છું. તમારું ધ્યાન રાખજો અને સુરક્ષિત રહેજો. અત્યારથી તમને મિસ કરી રહી છું.’ ઉલ્લેખનીય છે કે પ્રિયા શોમાં રિટા રિપોર્ટરનો રોલ કરે છે, જોકે તે શોમાં ઘણા ઓછા એપિસોડમાં જ જોવા મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે મહરાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષથી નાના બાળકો તથા 60 વર્ષથી મોટા ઉંમરના વ્યક્તિઓ સેટ પર આવી શકે નહીં. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકની ઉંમર 75 વર્ષની છે. માનવામાં આવે છે કે ગાઈડલાઈન પ્રમાણે, નટુકાકા સેટ પર આવશે નહીં. જોકે, હજી સુધી સીરિયલના મેકર્સે આ અંગે કોઈ વાત કરી નથી. સરકારની આ ગાઈડલાઈન આગામી ત્રણ મહિના માટે છે.
નવેમ્બર 2019માં પ્રિયા માતા બની હતી. શોના સેટ પર જ માલવ અને પ્રિયાની મિત્રતા થઈ અને પ્રેમ વધ્યો હતો. બંને 19 નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. શોની શૂટિંગ શરૂ કરતા પહેલા મૉક શૂટ કરવામાં આવ્યું હતું. માલવે મૉક શૂટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
શોની વાત કરીએ તો તારક મહેતા ઘણો લોકપ્રિય છે. આ શો સતત 11 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. જ્યારે શૉની શૂટિંગ બંધ થયું ત્યારે કોરોના વાઈરસનો પ્લૉટ બતાવવામાં આવ્યો હતો. આ શો 28 જુલાઈ 2008ના શરૂ થયો હતો. અત્યારસુધી શોના 2958 એપિસોડ થઈ ચૂક્યા છે.