સુશાંતના પરિવારની કેવી મજબૂરી, પહેલા દીકરો ગુમાવ્યો અને હવે લોકો આબરુ ઉછાળી રહ્યા છે
મુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પરિવારજનો તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પરિવારે આરોપ લગાવ્યો છે કે સુશાંતના પરિવારને (જેમાં 4 બહેનો અને એક વૃદ્ધ પિતા સામેલ છે) પાઠ ભણાવવાની ધમકીઓ મળી રહી છે. એક પછી એક કરીને તમામ પરિવારજનોની આબરૂ પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત સુશાંતના પરિવારે ઘણા પ્રશ્નો કર્યા છે. સુશાંતના પરિવારે 9 પાનાનો પત્ર લખ્યો છે.
શું લખ્યું છે આ પત્રમાં? પત્રના પ્રારંભમાં ફિરાક જલાલપુરીની પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે,‘તુ ઈધર-ઉધર કી ના બાત કર. યે બતા કિ કાફલા ક્યૂં લુટા, મુજે રહજનોસે ગિલા નહીં તેરી રહબરી કા સવાલ હૈ.’
‘અખબાર અને મીડિયામાં ચમકવા માટે ઘણા ફેક મિત્રો,ભાઈ અને મામા પોતાની વાતો રજૂ કરી રહ્યાં છે. એવામાં અમારે જણાવવું પડી રહ્યું છે કે ‘સુશાંતનો પરિવાર’ હોવાનો અર્થ શું છે. સુશાંતના માતા-પિતા રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લોકો હતા. તેમના 5 બાળકો છે. જેમનો ઉછેર સારી રીતે થાય તેના કારણે નાનકડા ગામથી શહેર પહોંચ્યા. ગુજરાન ચલાવવા અને બાળકોને ઉછેરવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા. એક સામાન્ય ભારતીય માતા-પિતાની જેમ તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. બાળકોને કોઈ વાતની તકલીફ થવા દીધી નહીં. જુસ્સાવાળા લોકો હોવાના કારણે બાળકોના સ્વપ્નને ક્યારેય અટકાવ્યા નહીં.’
‘માતા-પિતા એવું કહેતા કે બે હાથ અને પગ વાળા માણસો જે કરી શકે છે એ બધુ તમને કરવાની છૂટ છે. પ્રથમ દીકરીમાં જાદૂ હતો અને કોઈ આવ્યુંને ચૂપચાપ તેને પરીઓના દેશમાં લઈ ગયું. બીજી નેશનલ ટીમ માટે ક્રિકેટ રમી. ત્રીજીએ કાયદાનો અભ્યાસ કર્યો અને ચોથીએ ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કર્યું. પાંચમો હતો સુશાંત. જેના માટે તમામ પ્રાર્થનાઓ કરવામાં આવી. આખું જીવન સુશાંતના પરિવારે ના ક્યારેય કોઈની પાસેથી કંઈ લીધુ ના તો કોઈને દુઃખ પહોંચાડ્યું. મદદ કરો..’
‘…સવાલ સુશાંતની નિર્મમ હત્યાનો છે. સવાલ એ છે કે મોંઘા વકીલોની મદદથી ન્યાયની પણ હત્યા કરવામાં આવશે? આનાથી મોટો સવાલ એ છે કે પોતાને એલિટ સમજનારા, અંગેજીપણામાં ડૂબેલા, પીડિતોને ખરાબ નજરે જોનારા નકલી રક્ષકો પર લોકો વિશ્વાસ શા માટે કરે?’
પાઠ ભણાવવાની ધમકીઓ મળી રહી છેઃ ‘સુશાંતના પરિવારમાં 4 બહેનો અને એક વૃદ્ધ પિતા છે. તમામને પાઠ ભણાવવાની ધમકીઓ મળી રહી છે. તેમની આબરૂ પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુશાંત સાથે તેમના સંબંધો મામલે સવાલ થઈ રહ્યાં છે. તમાશો જોનારો એ ના ભૂલે કે તેઓ પણ અહીં જ છે. જો આ જ સ્થિતિ રહેશે તો શું ગેરન્ટી કે ભવિષ્યમાં તેમની સાથે આમ નહીં થાય? આપણે દેશને એવી સ્થિતિએ શા માટે લઈ જઈએ છીએ, જ્યાં અમુક પદો પર રહેલા લોકો પોતાને કંઈ સમજતા હોય છે અને તેમના ગુંડાઓ થકી મહેનતી લોકોની હત્યા કરાવી દે છે તથા સુરક્ષાના નામે પગાર મેળવતા લોકો ખુલ્લેઆમ બેશરમી સાથે તેમની મદદ કરી રહ્યાં હોય છે?’
સુપ્રીમ કોર્ટે આરક્ષિત રાખ્યો ચુકાદોઃ સુશાંત કેસમાં મંગળવારે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી (બિહારથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા) પર મંગળવારે સુનાવણી હાથ ધરી. જસ્ટિસ હૃષિકેશ રૉયની બેન્ચ સુનાવણી કરી રહી હતી. રિયા ચક્રવર્તીએ સુશાંત કેસને પટણાથી મુંબઈ શિફ્ટ કરવા સુપ્રીમમાં અરજી કરી અને કોર્ટે ચુકાદો આરક્ષિત રાખ્યો. કોર્ટ ગુરુવારે ચુકાદો આપતા નિર્ણય લેશે કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવશે કે નહીં. મંગળવારે બંને પક્ષના વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ. સુપ્રીમ તમામ પક્ષો પાસેથી ગુરુવાર (13 ઓગસ્ટ) સુધી જવાબ માગ્યો છે.