સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના 44 દિવસ બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. અભિનેતાના પિતા કે.કે.સિંઘે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટણામાં એફઆઈઆર નોંધાવી છે, જેની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે મુજબ સુશાંતને ડર હતો કે રિયા તેને તેની મેનેજર દિશા સલિયનના આપઘાત કેસમાં ફસાવી શકે છે. આટલું જ નહીં, સિંહે અભિનેત્રી વિરુદ્ધ સુશાંતના ખાતામાંથી રૂપિયા 15 કરોડ ઉપાડવાની, તેને ધમકાવવા અને આર્થિક ઉપયોગ માટે બંધક બનાવવા જેવા અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
રિયાએ નંબર બ્લોક કરાવતાં સુશાંત ગભરાઈ ગયો
વાયરલ એફઆઈઆર મુજબ, દિશા સલિયન પર 8 જૂને સુસાઈડ કર્યુ હતુ. આ પછી, જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં તેને સુશાંતની મેનેજર ગણાવી, ત્યારે અભિનેતા નર્વસ થવા લાગ્યો હતો. તે રિયાને ફોન કરતો હતો,પરંતુ અભિનેત્રીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આ પછી સુશાંત અંદરથી ડરવા લાગ્યો કે રિયાએ તેને દિશા માટે જવાબદાર ન ગણે. અને તેને ક્યાંય ફસાવી ન દે.
સુશાંતની બહેન તેને સમજાવવા માટે 3-4 દિવસ તેની સાથે રહી
સુશાંતના પિતાએ એફઆઈઆરમાં લખ્યું છે- “મારી પુત્રી (જે મુંબઇમાં રહે છે) સુશાંત પાસે ગઈ હતી અને 3-4 દિવસ ત્યાં તેની સાથે રોકાઈ હતી. તેણે ઘણો સમજાવ્યો અને તેને પ્રોત્સાહન આપ્યું કે બધું બરાબર થઈ જશે. કારણ કે મારી પુત્રીના બાળકો નાના છે, તેથી તેણી સુશાંતને ખાતરી સમજાવીને 3-4 દિવસ પછી જતી રહી હતી. પરંતુ તેના 2 દિવસ પછી (14 જૂન 2020ના રોજ) મારા પુત્ર સુશાંતે આત્મહત્યા કરી હતી”
‘રિયા અને તેના પરિવારે કાવતરા હેઠળ છેતરપિંડી કરી’
સિંહે વધુમાં લખ્યું છે કે, “રિયા, તેના પરિવાર અને તેના સહકાર્યકરોએ ષડયંત્ર હેઠળ મળીને મારા પુત્રની સાથે છેતરપિંડી કરી, દગો કર્યો અને લાંબા સમય સુધી તેને બંધક બનાવીને દબાણથી પોતાના આર્થિક લાભ માટે તેનો ઉપયોગ કર્યો અને મારા પુત્રને આત્મહત્યા કરવાની ફરજ પડી છે.” વધુમાં, સિંહે રિયા અને તેના પરિવાર વિરુદ્ધ તપાસ કેમ થવી જોઈએ તે વ્યવસ્થિત રીતે 7 મુદ્દામાં સમજાવ્યું છે.
મેડિકલ રિપોર્ટ લીક કરવાની ધમકી આપતી હતી રિયા?
સિંહે એફઆઈઆરના સૌથી છેલ્લા મુદ્દામાં લખ્યું છે કે, “મારો પુત્ર સુશાંત તેના મિત્ર મહેશ (શેટ્ટી) સાથે ઓર્ગેનિક ખેતી માટે કેરળના કુર્ગમાં જવા માગતો હતો, જેના માટે તે જમીનની શોધ કરી રહ્યો હતો. જ્યારે રિયાને આ વાતની ખબર પડી તો તેણીએ તેનો વિરોધ કર્યો હતો અને સુશાંતને ધમકી આપી હતી કે હું મીડિયામાં તારી સારવારના તમામ કાગળો પ્રકાશિત કરીશ અને તારો સારો પ્રભાવ બધુ બરબાદ કરી દઈશ, જ્યારે સુશાંતે તેનો વિરોધ કર્યો, ત્યારે તેને લાગ્યું કે તે હવે તેના કોઈ પણ કામનો રહ્યો નથી. તેથી રિયા ત્યાંથી લેપટોપ, રોકડ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, મેડિકલ દસ્તાવેજો, પિન નંબર અને પાસવર્ડ સાથે લઈને ગઈ. ” સિંહના કહેવા મુજબ આ બધું સલીયનના સુસાઈડ પહેલા થયું હતું.
કે.કે.સિંહે આક્ષેપ કર્યો છે કે તે પટનામાં રહે છે. ત્યાંથી તેણે સુશાંત સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રિયા, તેના પરિવારજનો અને સાથીઓએ વાત થવા દીધી ન હતી અને સુશાંતને પટણા પણ જવા દીધો ન હતો.
25 જુલાઇએ નોંધાઈ એફ.આઈ.આર.
પટણા સેન્ટ્રલ ઝોનના આઈજી સંજય કુમારે કહ્યું કે આ એફઆઈઆર આજે (28 જુલાઈના રોજ) નહીં પરંતુ ત્રણ દિવસ પહેલા 25 જુલાઇએ નોંધાઈ છે. સુશાંતના પિતા કે.કે. સિંહે એફઆઈઆરમાં મુખ્યત્વે આઈપીસીની છ કલમો 341, 342, 380, 406, 420 અને 306 નો ઉલ્લેખ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહના વકીલોએ તેમને પટનામાં એફઆઈઆર નોંધવાની અને મીડિયાથી માહિતી છુપાવવાની સલાહ આપી હતી.