સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઇ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલા રિયા સાથે મોટો ઝઘડો થયો હતો. એટલે સુધી કે બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી. આ ઝઘડા બાદ રિયા ઘર છોડીને જતી રહી હતી. તેણે સુશાંતનો નંબર બ્લોક કર્યો. બંને વચ્ચેના ઝઘડાનું મોટું કારણ પરિવારને હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
8 જૂન બાદથી સુશાંત-રિયા વચ્ચે નથી થઈ વાત
કોલ ડિટેઈલ્સ મુજબ, 8 જૂનથી 14 જૂન વચ્ચે સુશાંત અને રિયા વચ્ચે વાતચીત થઈ નહોતી.
ઈનકમટેક્સ રિટર્નમાં થયો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂત કેસમાં છેતરપિંડી અને 15 કરોડની હેરાફેરી લાગવાનો આરોપ લગાવ્યા બાદ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ કરી રહ્યુ છે. ત્યારે ઇન્કમટેક્સ રીટર્નમાં મોટો ખુલાસો થયો છે. દરમિયાન રિયા ચક્રવર્તીની આઈટીઆર (આવકવેરા રીટર્ન) ની વિગતો બહાર આવી છે.
આ મુજબ, 2017-18માં રિયાએ તેની 18.85 લાખ રૂપિયાની આવક નોંધાવી હતી, જ્યારે 2018-19માં તેણે 18.35 લાખ રૂપિયાની કમાણી બતાવી હતી. જોકે, આ બે વર્ષમાં તેણે કરેલું રોકાણ કમાણી કરતા વધારે છે. ઇડી હવે રિયાની આ વધારાની આવકના સોર્સ શોધી રહી છે.
મીડિયાએ મને દોષી ઠેરવી દીધી-રિયા
રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે કહ્યું, મીડિયામાં આ મુદ્દાને અતિશયોક્તિજનક બતાવવામાં આવ્યો છે. મીડિયા આ કેસમાં સાક્ષીઓ સાથે આક્રમક દલીલ કરી રહ્યું છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે કોઈ આક્ષેપો કરવામાં આવે તે પહેલાં જ મીડિયાએ રિયા ચક્રવર્તીને દોષી ઠેરવી છે.
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જુને તેના રૂમમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળ્યો હતો. મુંબઇ પોલીસે તેને આત્મહત્યા ગણાવી છે. જો કે સુશાંત સિંહના પરિવારજનો અને સંબંધી તેને હત્યા ગણાવી રહ્યાં છે અને સીબીઆઇ તપાસની માગ કરી રહ્યાં છે.
બિહાર સરકારની ભલામણ પર ગૃહમંત્રાલયે આ મામલે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. સીબીઆઇ ટૂંક સમયમાં સુશાંતના પિતાનું નિવેદન લેશે. તો ઇડી પણ આ મામલે તપાસ કરી રહી છે.