Only Gujarat

Gujarat

4 દિવસમાં હસતો-ખેલતો પરિવાર પિખાયો, બે મામૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના પાટડીમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં પતિના મોત બાદ પત્નીને ઘેરો આઘાત લાગ્યો હતો. જેથી તેણે ખાવા પીવાનું છોડી દીધું હતું. પતિના મોતના ચાર દિવસમાં પત્નીએ પણ અનંતની વાટ પકડી હતી. પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ અગાઉ ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં અકસ્માતમાં ગંભીર ઘાયલ થતાં કર્મચારીને અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં બે દિ’બાદ તેમનું મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી પત્નીને લાગી આવતા ચોથા દિવસે તેમનું મોત નિપજતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

પાટડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પાટડી તાલુકાના જૈનાબાદના વતની લતીફભાઇ કાદરભાઇ કુરેશી તથા પાટડી તાલુકાના ખેરવા ગામે સસ્તા અનાજના દુકાનદાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કર કાર લઇને વિરમગામથી પુરઝડપે માલવણ તરફ આવી રહ્યાં હતા. ત્યારે માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઇ ડીવાઇડર કુદાવી સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી કાર સાથે જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલક જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહીલુહાણ અને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યારે કારમાં સવાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કરને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ઘટનાના બે દિવસ બાદ જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી મૃતક લતીફભાઇ કુરેશીની પત્નિ કુલસુમબેનને લાગી આવતા એણે બે દિવસથી ખાવાનું મૂકી દીધુ હતુ.આથી આજે એને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં એનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આમ 3 જ દિવસમાં પતિ-પત્નિના આકસ્મિક મોતની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. અને એમના બે માસૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

You cannot copy content of this page