રાજકોટમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયાએ તેના જ પુત્ર અજીત ભોજવીયાને છાતીમાં છરી ભોંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક અજીત પોતાની વાડીએથી ઘરે પત્નિને બોલાવવા આવ્યો હતો. પત્ની દરવાજો બંધ કરી સુઇ ગઇ હોઇ જેથી અજીતે દરવાજો ખખડાવતાં તેના પિતા રાજુ ઓસરીમાં સુતા હતા. પિતા રાજુએ જાગી અજીતને ‘શું દેકારો કરે છે? કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન અજિતે ‘હું મારી પત્નિને કહુ છું, તમે વચ્ચે ન બોલો’ તેમ કહેતાં પિતા રાજુએ તેને છરી ભોંકી પતાવી દીધો હતો. વચ્ચે પડેલી પત્નિ અને પુત્રવધૂને પણ આ પ્રૌઢે ઇજા પહોંચાડી હતી. આરોપી હત્યા કરી ભાગી જતાં મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, અમરગઢ ભીચરી રહેતા અજિત રાજુભાઇ ભોજવિયા (ઉં.વ.32)ને રાતે તેના પિતા રાજુ ધનાભાઇ ભોજવિયા (ઉં.વ.55)એ છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે હત્યાનો ભોગ બનેલા અજિત ભોજવિયાની પત્ની ભારતી ભોજવિયા (ઉં.વ.27)ની ફરિયાદ પરથી તેના સસરા રાજુ ધનાભાઇ ભોજવિયા સામે આઇપીસી 302, 323, 135 મુજબ ગુનો નોંધ્યો હતો.
મૃતકની પત્ની ભારતીએ જણાવ્યું હતું કે મારા પતિ અને રાજકોટ રહેતા જેઠ અરવિંદ સહિતના સાંજે ગામમાં માતાજીનો તાવો હોવાથી પ્રસાદ લેવા ગયા હતાં. સાંજે પાંચેક વાગ્યે બંને પરત આવ્યા હતા અને જેઠ રાજકોટ તેના ઘરે જતા રહ્યા હતાં. પતિ રાતે નવેક વાગ્યે અમારી વાડીએ પાણી વાળવા ગયા હતા. બહુ કામ ન હોવાથી હું રૂમમાં દરવાજો અંદરથી બંધ કરીને સૂઇ ગઇ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરમિયાન મારા પતિ અજિત રાતે પોણાઅગિયારેક વાગ્યે પાણી વાળવામાં વાડીએ મારી મદદની જરૂર હોવાથી મને બોલાવવા ઘરે આવ્યા હતા. આ વખતે મારા સસરા રાજુ ભોજવિયા ઓસરીમાં હતાં. પતિએ રૂમનો દરવાજો બે-ત્રણ વખત ખખડાવતાં હું જાગી ગઇ હતી. ત્યાં સસરા રાજુ ભોજવિયા પણ ઓસરીમાં હોવાથી તેઓ પણ જાગી ગયા હતા. મારા પતિને ‘શું દેકારો કરે છે? શું કામ તારી ઘરવાળીની સાથે માથાકૂટ કરે છે?’ એમ કહેતાં મારા ધણી અજિતે એ મારી ઘરવાળી છે, હું તેને કહું છું, તમને નથી કહેતો…એમ કહેતાં મારા સસરાએ ઘરમાંથી છરી ઉઠાવી હુમલો કરતાં હું અને મારાં સાસુ જીણીબેન વચ્ચે પડતાં અમને હાથમાં ઇજા કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ પછી મારા પતિને છાતીમાં એક ઘા ઝીંકી દેતાં તે પડી ગયા હતા. અમે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા, પણ તેઓ બચી શક્યા નહોતા. સસરાએ દારૂ પીધો હોવાનું પણ ભારતીએ કહ્યું હતું. હત્યા બાદ આરોપી રાજુ ભોજવિયા ભાગી ગયો હતો. બનાવની જાણ થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુને તેની વાડીની નજીકની બીજી વાડીમાંથી મોડી રાતે દબોચી લીધો હતો.
હત્યાનો ભોગ બનનાર અજિતના મોટા ભાઇ અરવિંદ ભોજવિયાએ જણાવ્યું હતું કે મારા બાપુજી રાજુભાઇને નશો કરવાની આદત હતી. રાતે પણ તેઓ ફુલ પીધેલી હાલતમાં હતા. મારો ભાઇ અજિત દરવાજો ખખડાવતાં અને તેની પત્ની ભારતીના નામની બૂમો પાડતા હતા ત્યારે બાપુજી રાજુભાઇ ગુસ્સે થયા હતા અને દેકારો શું કરે છે? કહી હુમલો કરી દીધો હતો. હત્યાનો ભોગ બનનાર અજિત બે ભાઇ, બે બહેનમાં ત્રીજા નંબરે હતો. તે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે પુત્રી કિંજલ (ઉં.વ.10), રિતુ (ઉં.વ.7), જયદીપ (ઉં.વ.6) અને વિવેક (ઉં.વ.4.5) છે. પિતાની પોતાના જ દાદાના હાથે હત્યા થતાં આ ચારેય ભાંડરડાં નોધારા થઇ ગયાં છે.