સુરતમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાસ નગરમાં રહેતા એક સોની પરિવારનું ઘર વેરબિખેર થઈ ગયું છે. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો આખરે હિંસામાં પરિણમ્યો અને અંતે પત્નીની હત્યા કરી પતિએ પોતે પણ જીવન ટુંકાવી લીધું હતું.
કૈલાસનગર સોસાયટીમાં મકાન નંબર 22માં રહેતા રાજેન્દ્ર રામચંદ્ર જ્વેલર્સની દુકાન ચલાવતા હતા. તેમની પત્ની સાયલાબેન ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા હતા. આર્થિક રીતે પરિવાર સંપન્ન હતો પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતને લઈ ઝઘડાઓ થતા રહેતા હતા.
પતિ-પત્ની વચ્ચેના ઝગડાએ મંગળવારે ઉગ્ર રૂપ લીધું હતું. રાજેન્દ્રએ પોતાના પર કાબૂ ગુમાવી દીધો અને પત્ની સાયલાબેન પર ચાકુ વડે હુમલો કરી નાખ્યો. સાયલાબેનના ગાળાના ભાગે ચાકુ મારી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ રાજેન્દ્રએ પણ પંખાના હૂક સાથે લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિસ્મર હોસ્પીટલમાં મોકલી આપ્યા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર. જે. ચુડાસ્માએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈ કેટલાક સમયથી લડાઇ થતી રહેતી હતી.