કહેવાય છે કે પૈસા અને પાવર આવે એટલે ભલભલા માણસને અભિમાન આવી જાય. આજે ખૂબ જ ઓછા એવા લોકો હશે જેમની પાસે રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખ્યા છે. આમાના એક એટલે કાઠિયાવાડના ખમીરવંતા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા. નાના માણસની ચિંતા કરનાર ગોવિંદભાઈ ધોળકિયા અનેક સેવા કાર્યો કરી રહ્યા છે. અંદાજે 10 હજાર કરોડ રૂપિયાના માલિક બની ગયા હોવા છતાં ગોવિંદભાઈ તેમની સાદગી માટે જાણીતા છે. હાલમાં તેમની સાદગીના વધુ એક વાર દર્શન થયા હતા.
અબજોના માલિક હોવા છતાં ગોવિંદભાઈ ધોળિકિયા તેમના મૂળિયા ભૂલ્યા નથી. હાલમાં તેઓએ પોતાના વતન અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં બાળપણ વિત્યું એ ગામની શેરીઓ જોતા જ ગોવિંદભાઈ રોમાંચિત થઈ ગયા હતા.
ગોવિંદભાઈ રોલ્સરોયઝમાં સુરતથી પોતાના દુધાળા ગામની મુલાકાતે આવ્યા હતા. જોકે તેમણે ગામમાં આવ્યા બાદ કરોડોની રોલ્સરોયઝ છોડીને સાઈકલ પકડી હતી.
કરોડોના માલિક ગોવિંદભાઈને સાઈકલ ચલાવતા જોઈને ગામ લોકોને પણ આશ્ચર્ય થયું હતું. ગોવિંદભાઈએ તેમણે ગામની શેરીઓમાં સાઈકલ ચલાવી બાળપણની યાદો તાજા કરી હતી.
દુધાળા ગામની તમામ છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી આપશે
ગોવિંદભાઈ એ પોતાના ગામ દુધાળા માટે સુંદર કામ કર્યું છે. દુધાળા ગામના લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બીલ ભરે છે. જેથી ગોવિંદભાઈએ નક્કી કર્યું છે કે તે દૂધાળા ગામે રહેતા તમામ પરિવારો માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ આપશે. જેથી લોકોના વીજબીલમાં વપરાતા પૈસા બચી શકે. જ્યારે, સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પ્લેટથી વીજળીનો ઉપયોગ કરશે. તેઓ 300 મકાનની છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાશે.
ગામ માટે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
ઉદ્યોગપતિ ગોવિંદભાઈએ કહ્યું કે, મારુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હું મારા વતનમાં પ્રથમ વખત આવ્યો હોવાથી મારા પરિવારની એવી ભાવના છે કે ગામના નાના-મોટા દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે. બધી જ યોજનાઓ પાછળ લગભગ 6 કરોડથી વધારે ખર્ચ થશે.
હાલમાં થયું હતું લિવર ટ્રાન્સપ્લાન્ટ
છેલ્લા ત્રણેક વર્ષથી ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. પાંચ મહિના પહેલાં તેમને ઓર્ગન ડોનેટ મળી જતા સુરતની કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને બે-બે હજાર રૂપિયા આપ્યા હતા.
રામમંદિર માટે 11 કરોડનું દાન આપ્યું હતું
સામાજિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય ગોવિંદભાઈએ દાન આપવામાં ક્યારેય પાછું વાળીને નથી જોયું. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાં સૌથી વધુ તેમણે રૂપિયા 11 કરોડનું દાન આપ્યું હતું.
13 વર્ષની વયે ગામડું છોડી સુરત આવ્યા હતા
ગોવિંદભાઈ ધોળિકિયાએ તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કરેલો છે. માત્ર 13 વર્ષની વયે ગામ છોડીને સુરત આવેલા હીરા ઘસીને કારકિર્દી શરૂ કરનાર ગોવિંદભાઈની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની કરોડોનું ટર્ન ઓવર ધરાવે છે અનેક દેશોમાં ડાયમંડની નિકાસ કરે છે. સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી સૂઝબૂઝ અને પ્રામાણિકતાપૂર્વક ‘એસઆરકે’ એમ્પાયરનું નિર્માણ કર્યું, જેમાં આજની તારીખે છ હજાર કર્મચારી કામ કરે છે.
ગોવિંદ કાકા હરીફને પણ સાચી સલાહ આપીને મદદ કરે છે
સામાન્ય રીતે કોઈપણ બિઝનેસમેન પોતાના જ હરીફને મોટો કરે તેવું જોવા મળતું નથી હોતું. પરંતુ કાકા દરેક વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપી અને તેની શક્તિ મુજબ તેમને આગળ વધવા પ્રેરણા આપે છે. કાકા દરેક ક્ષેત્રમાં સફળ છે. તેઓ હંમેશા કહે કે, કોઈને જેટલો આદર આપશો તેના કરતા અનેકગણો આદર તમે પામી શકશો.