મુંબઈઃ ફિલ્મ એક્ટર સૂરજ પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન સાથેના તેના અફેરના અહેવાલોને રદિયો આપ્યો હતો. સૂરજે આ અહેવાલમાં કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા. રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે, સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન સૂરજ પંચોલીના બાળકની માતા બનવાની હતી. સૂરજે જણાવ્યું કે, તે દિશાને જાણતો જ નહોતો અને સુશાંતના નિધન બાદ જ તેને દિશા વિશે ખબર પડી હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે, દિશા સૂરજના બાળકની માતા બનવાની હતી અને સુશાંતે કથિત રીતે 2017માં સૂરજ સાથે આ મુદ્દે લડાઈ પણ કરી હતી. તે સૂરજને ખુલ્લો પાડવાનો હતો. અહેવાલમાં એવો દાવો કરાયો કે, સલમાન ખાન સૂરજને બચાવી રહ્યો છે.
બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન સૂરજે કહ્યું કે,‘સુશાંતની સાથે કેવો ઝઘડો? મારી તેની સાથે ક્યારેય બોલાચાલી નથી થઈ. મે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે સલમાન ખાન શા માટે મારા જીવનમાં દખલગીરી કરશે? તેમની પાસે શું કોઈ બીજા કામ નથી? હું એ પણ નથી જાણતો કે દિશા કોણ છે. હું તેને પોતાના જીવનમાં ક્યારેય નથી મળ્યો. મને સુશાંતના નિધન બાદ તેના વિશે જાણ થઈ અને મને તેમની સાથે સંકળાયેલા પરિવારજનો માટે દુખ થયું. કોઈ વ્યક્તિએ આ વાહિયાત દાવો પોતાના ફેસબુક પેજ પર કર્યો છે. તેને એક ફિલ્મની સ્ટોરી તરીકે લખી અને પોસ્ટ કરી હતી.’ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધનના અમુક દિવસ અગાઉ જ 28 વર્ષીય દિશાએ મુંબઈના મલાડની એક બિલ્ડિંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. જોકે પોલીસ આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે કે આ આત્મહત્યા જ હતી કે દિશાની હત્યા કરવામાં આવી હતી.
તાજેતરમાં જ જિયા ખાનની માતાએ સલમાન ખાન પર જિયાની મોતની તપાસમાં દખલગીરી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. સ્પૉટબૉય દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં જિયા ખાનની માતા રાબિયાએ સલમાન ખાન પર પૈસાના દમ પર તપાસ સાથે ચેડા કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે સલમાન પર સૂરજને પૂછપરછથી બચાવવા માટે આમ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.