માણસ હંમેશા કુદરતના રહસ્યો જાણવાનો પ્રયત્ન કરતો રહે છે. જોકે, માણસે ઘણાં રહસ્યો જાણ્યા છે. છતાં સૃષ્ટી માણસને અમુક રહસ્ય વધુ જાણવા અને સમજવા માટે પડકાર આપે છે. એવી ઘણી વસ્તુઓ છે જેનાં રહસ્ય આજે પણ અકબંધ છે.
ભારતમાં ઘણી એવી જગ્યા છે. જેના રહસ્ય આજે પણ અકબંધ છે. તમે એવી ઘણી જગ્યા વિશે સાંભળ્યું પણ હશે. જે રહસ્યો ઘણાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. આવી જ એક રહસ્યમયી જગ્યા છે દલાહી કુંડ. એક એવો કુંડ જ્યાં તાળી વગાડતાં પાણી બહાર આવે છે. તો અમે તમને ઝારખંડના બોકારોમાં સ્થિત આ પાણીના કુંડ પાછળનું રહસ્ય જણાવીએ.
તાળી વગાડતાં જ બહાર આવે છે પાણી
ઝારખંડના બોકારોના દલાહી કુંડ પોતાના રહસ્યમયી ચમત્કારો માટે ચર્ચામાં રહે છે. કહેવામાં આવે છે કે, આ કુંડની સામે ઊભા રહીને તાળી વગાડતાં જ પાણી બહાર નીકળે છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે, આ કુંડનું પાણી ખૂબ જ ગરમ હોય છે.
ઋતુ મુજબ પાણી નીકળે છે
કેટલાક લોકો જણાવે છે કે, આ કુંડમાંથી ઋતુ મુજબ પાણી નીકળે છે. જો ઉનાળો હોય તો ઠંડુ પાણી નીકળે છે. જો શિયાળો હોય તો ગરમ પાણી નીકળે છે.
આ કુંડ વિશે શું કહે છે શોધ?
દલાહી કુંડનું પાણી જમુઈ નામના નાળામાંથી ગરગા નદીમાં જાય છે. એક શોધ મુજબ આવી જગ્યા પર પાણી ખૂબ જ નીચે હોય છે. એવામાં તાળી વગાડતાં ધ્વની તરંગોથી પાણી પર અસર પડે છે અને તે ઉપર સુધી આવી જાય છે.
માનતા પુરી કરે છે આ કુંડ
માન્યતા મુજબ, આ કુંડમાં નહાવાથી માનતા પુરી થાય છે. લોકો દૂર-દૂરથી આ કુંડમાં નહાવા માટે આવે છે. આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોનું કહેવું છે કે, ચામડીના રોગ સંબંધિત દરેક બીમારીઓ આ કુંડના પાણીમાં નહાવાથી દૂર થાય છે.
બોકારોથી 27 કિલોમીટર દૂર સ્થિત છે આ કુંડ
આ સ્થાન બોકારોથી લગભગ 27 કિલોમીટર દૂર જગાસુરમાં છે. કુંડની નજીક દલાહી ગોસાઈ દેવનું એક સ્થાન પણ છે. દર રવિવારે શ્રદ્ધાળુ તેમના દર્શન અને પૂજન માટે આવે છે. તો અહીં મકરસંક્રાંતિનો મેળો પણ લાગે છે. સ્થાનિક લોકો મુજબ વર્ષ 1984થી અહીં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.