99 વર્ષના ગુજરાતના આ પૂર્વ MLA જેને ખુદ PM મોદી કરે છે ખૂબ યાદ, ફોન કરીને શું કરી મોટી ચર્ચા?
કોરોના સામેની લડાઇમાં દરેક પોત-પોતાના સ્તરે સહયોગ કરી રહ્યાં છે. આજ કારણ છે કે દેશમાં આ લડાઇમાં કોરોનાને કાબુમા રાખી શકાયો છે. મળો આવા જ એક કોરોના વોરિયર્સ જેનું નામ છે પૂર્વ ધારાસભ્ય રત્ના બાપા ઠુંમર, રત્ના બાપા 100 વર્ષથી એક વર્ષ જ બાકી છે પરંતુ તેમનો જુસ્સો આજેય જુવાની જેટલો જ છે. રત્નાબાપા 17 એપ્રિલે ક્લેક્ટર કાર્યાલય પહોંચ્યા હતા. તેઓએ પોતાની પેન્શનના 51 હજાર રૂપિયા કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા છે. રત્ના બાપાએ ચેક જુનાગઢના એડિશનલ ક્લેક્ટરને સોંપ્યો. એટલું જ નહીં ક્લેક્ટર કચેરીની લિફ્ટ બંધ હોવાને કારણે રત્ના બાપા 99 વર્ષની વયે પણ દાદરા ચઢીને સહાય આપવા ગયા હતા.
રત્ના બાપાની સેવાનિષ્ઠાની વાત છેક દિલ્હી સુધી પહોંચી ગઇ. વડાપ્રધાન મોદી રત્ના બાપાને ખુબ જ સારી રીતે ઓળખે છે. વડાપ્રધાન મોદીએ ફોન કરી રત્ના બાપાને પુછ્યું કે શું તેઓ યાદ કરે છે તો જવાબમાં રત્ના બાપાએ કહ્યું કે આ સમયે તમે મહામારી સામે લડી રહ્યા છો અને દેશની સેવા કરી રહ્યાં છો. બાદમાં મોદીએ બાપાના ખબર અંતર પુછ્યા જેના જવાબમાં રત્ના બાપાએ કહ્યું કે તબીયત તો સારી છે પરંતુ સંભળાતું નથી. બાપા સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદી થોડા ભાવુક નજર આવ્યા.
રત્ના બાપાને મોદી સાથેની મુલાકાત સારી રીતે યાદ છે. જ્યારે એકવખત મોદીજી બાપાના ઘરે આવ્યા હતા. જો કે બાપાને મોદીનો અવાજ સંભળાતો ન હોવાથી મોદીએ રત્નાબાપાના દિકરા ધનજીભાઇ સાથે વાતચીત કરી રત્ના બાપા વિશે માહિતી મેળવી હતી.
ધનજીભાઇએ મોદીને કહ્યું કે બાપા તમને ખુબ જ યાદ કરે છે. એક વખત મોદી બાપાના ઘરે આવ્યા ત્યારે બંને વચ્ચે અંદાજે 3 કલાક સુધી વાતચીત થઇ હતી.
તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા અને માળિયાહાટીનાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.
51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, ‘સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડી ઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.’ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.