અમદાવાદઃ ફૂલાવરનું શાક ઘણું જ ટેસ્ટી હોય છે અને શિયાળામાં તો મોટાભાગના ઘરમાં આ શાક અચૂક બને છે. સામાન્ય રીતે ડોક્ટરથી લઈને ડાયટિશિયન સહિતના લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. લીલા શાકભાજીમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર તથા અન્ય પોષક તત્વો રહેલા હોય છે. જોકે, તમે ક્યારેય વિચાર્યું છે કે ફૂલાવરનું શાક ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
ફૂલાવરના શાકમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તથા આર્યન, વિટામિન એ, બી, સી, આયોડિન, પોટેશિયમ તથા થોડી માત્રામાં તાંબું હોય છે. ફૂલાવરના શાકમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ ભરપૂર હોય છે, જે શરીર માટે લાભદાયી છે. કેલ્શિયમ પણ ભરપૂર હોય છે પરંતુ કેટલાંક લોકો માટે ફૂલવારનું શાક ઝેર સમાન બની શકે છે.
જો તમને થાઈરોઈડની બીમારી હોય તો ક્યારેય ફૂલાવરનું શાક ખાવું નહીં. આનાથી તમારા શરીરમાં ટી3 તથા ટી4 હોર્મોન વધી શકે છે. ગોલ બ્લડર તથા કિડનીમાં પથરી હોય તેમણે પણ ફૂલાવરનો ઉપયોગ કરવો નહીં. કારણ કે આમાં કેલ્શિયમ વધુ હોવાથી પથરી થવાની સમસ્યા વધી શકે છે. આ સાથે જ યુરિક એસિડ જેનામાં વધારે હોય તેમણે પણ ક્યારેય ફૂલાવરનું શાક ખાવું નહીં. કારણ કે આમાં પ્યૂરિન હોય છે, જે યુરિક એસિડની માત્રા વધારે છે.
આમ તો ફૂલાવરમાં પોષકતત્વો હોવાથી તે શરીર માટે લાભકારક છે. ફૂલાવરના મુઠિયા, શાક, થેપલા બનાવીને લોકો ખાતા હોય છે. ફૂલાવર શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. ફૂલાવરનો રસ પણ લાભદાયી છે.