પંજાબના મોગામાં કાપડના એક વેપારીની ગોળી મારી હત્યા કરવાના કેસમાં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર સુખપ્રીત સિંહ લમ્મે ઉર્ફ સુક્ખાનું નામ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. કથિત રીતે આ મામલે ખુદ ગેંગસ્ટરે ફેસબૂક પર આ વાતની જવાબદારી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલે પીડિતના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું પરંતુ પોલીસે મામલો હળવાશથી લીધો અને યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સુક્ખા હાલમાં જ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા વિકાસ દુબે જેટલો જ ક્રૂર હોવાનું માનવામાં આવે છે.
જોકે સુક્ખા વિરુદ્ધ વિકાસ દુબે જેટલા મોટા કેસ દાખલ નથી પરંતુ તે હપ્તા વસૂલીમાં સક્રિય રહે છે. જગરાઓના રહેવાસી સુક્ખા વિરુદ્ધ પહેલો કેસ 2008માં દાખલ થયો હતો. ત્યાં તેણે એક વ્યક્તિની બેરહમીથી પીટાઇ કરી હતી. ત્યારબાદ સતત ધમકી અને મારપીટ અને હત્યાના પ્રયાસ જેવી ફરિયાદ તેના વિરુદ્ધ થઇ છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર 14 જુલાઇએ રાતે 7 વાગ્યે શેરી નંબર 1 ન્યૂ ટાઉન સ્થિત શોપ પર બેઠેલા માલિકના પુત્રની બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. બાઇક પર આવેલા 4 લોકોમાંથી એક શખ્સે શોરૂમમાં ઘૂસીને ગોળી મારી.
ગેંગસ્ટર સુક્ખાએ કથિત રીતે પોતાના ફેસબૂક પેજ પર આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. તેણે કહ્યું કે છેલ્લા 2 દિવસથી શોરૂમ માલિકો સાથે વિવાદ હતો. ગેંગસ્ટરે સ્પષ્ટ લખ્યું કે માલિકોએ પોલીસ પાસે જઇને મોટી ભૂલ કરી દીધી. ગેંગસ્ટરે ચેતાવણી આપી હતી કે વાત ખતમ કરવી છે તો કરી લો, નહીં તો જે થાય એ કરી લેવું. આ ઘટના બાદ વેપારીઓમાં આક્રોશ છે. તેઓએ બજાર બંધ રાખી પોલીસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો.
મૃતક જિતેન્દ્રના પરિવારનો સુપર શાઇન જીન્સ નામથી શોરૂમ છે. તે કાઉન્ટર પર બેઠા હતા ત્યારે હુમલાખોર બાઇક પર બેસીને આવ્યા. શખ્સોએ શોરૂમમાં પ્રવેશીને જિતેન્દ્ર પર ગોળીઓ ચલાવી. પોતાનો જીવ બચાવવા જિતેન્દ્રએ શખ્સને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહ્યો.
ચોંકાવનારી વાત તો એ છે કે જે રીતે આ ઘટના બની તેની આસપાસના વિસ્તારમાં પોલીસની નાકાબંધી હોય છે. તેમ છતા હુમલાખોરો હત્યા બાદ બાઇક પર બેસી ત્યાંથી ફરાર થઇ ગયા.
ઘટનાની જાણ થતા જ એસએસપી હરમનવીર સિંહ ગીલ અને એસપી ગુરદિપ સિંહ સિવાય ડિએસપી સિટી બલવિંદર સિંહ ભુલ્લર સહિત મોટી સંખ્યામાં પોલીસ ટીમ પહોંચી હતી. ત્યારબાદ હુમલાખોરોને પકડવા માટે નાકાબંદી શરૂ કરવામાં આવી.
મૃતક જિતેન્દ્રના પરિવારનો સુપર શાઇન જીન્સ નામથી શોરૂમ છે. તે કાઉન્ટર પર બેઠા હતા ત્યારે હુમલાખોર બાઇક પરથી ત્યાં પહોંચ્યા. હુમલાખોરએ અંદર પ્રવેશતા જ જિતેન્દ્ર પર ફાયરિંગ શરૂ કરી દીધું. પોતાનો જીવ બચાવવા જિતેન્દ્રએ તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ અસફળ રહ્યાં.
ઘટનાસ્થળેથી પોલીસને પાંચ ગોળીઓના ખોખા મળ્યા છે. ગોળીઓ .32 બોરની પિસ્તોલથી ચલાવવામાં આવી હતી. એક ગોળી સંભવતઃ જિતેન્દ્રની જગ્યાએ અન્ય જગ્યાએ લાગી. હુમલાખોરોની ઉંમર 30-35 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ વેપારી પરિવારમાં આક્રંદનો માહોલ છવાયેલો છે.
જ્યા ઘટના બની તે સમગ્ર વિસ્તાર ભીડવાળો છે. તેમ છતા હુમલાખોરો ડર્યા વગર હત્યા કરી ફરાર થઇ ગયા છે. સમગ્ર બનાવથી શહેરમાં પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યાં છે તથા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.