કોરોના કાળમાં આપઘાતના મામલા દિવસેને દિવસે વધી રહ્યાં છે. આવી જ એક દુઃખદ ઘટના છત્તીસગઢમાં સામે આવી છે. અહીં એક મહિલા ડોક્ટરે પોતાના જ પાંચ વર્ષના માસૂમ પુત્ર સામે ફાંસી લગાવી આપઘાત કરી લીધો.
આ ઘટના બલરામપુર જિલ્લામાં બની છે અહીં સરકારી હોસ્પિટલમાં પદસ્થ મહિલા ડોક્ટર ખુશબુ સિંહે દુપટ્ટાનો ફંદો બનાવી પંખા સાથે બાંધી આત્મહત્યા કરી લીધી. પોલીસે રવિવારના દિવસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપ્યો હતો. જો કે પોલીસે હજુ સુધી મહિલાના મોત પાછળ કારણ જાણી શકી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે મૃતકા જે સમયે આપઘાત કરી રહી હતી એ સમયે તેનો પાંચ વર્ષનો પુત્ર પણ હાજર હતો. જેવું તેણીએ અડધી રાતે ફાંસી લગાવી લીધી કે પુત્રની ઉંઘ ઉડી ગઇ અને તે ડરનો માર્યો દોડીને તેના નાના-નાની પાસે પહોંચી ગયો. ત્યાં જઇને તેણે કહ્યું કે મમ્મીને કંઇક થઇ ગયું છે.
બાદમાં નાના-નાની દોડીને રૂમમાં પહોંચ્યા તો મહિલા પંખા સાથે લટકી રહી હતી. ગમે તેમ કરી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાના લગ્ન 2013માં મુંબઇમાં રહેતા પુનીત સિંહ સાથે થયા હતા. પતિ મુંબઇમાં રહી ખાનગી કંપનીમાં જોબ કરે છે.
મહિલા સરકારી નોકરીને કારણે બલરામપુરમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. મૃતકાના પિતાએ જણાવ્યું કે રાતે એવી કોઇ વાત થઇ નથી બધા લોકો સાથે જમ્યા હતા. બાદમાં તે પુત્રને લઇને રૂમમાં જતી રહી. હાલ પોલીસે ગુનો દાખલ કરી પરિવારજનોની પુછપરછ હાથ ધરી છે.