દેહરાદૂનઃ તમે માત્ર ફિલ્મ કે સીરિયલમાં જ જોયું હશે કે કોઈ સસરા પોતાની વિધવા વહુના લગ્ન કરાવે અને પિતા બનીને કન્યાદાન કરે. જોકે, આવી ફિલ્મી કહાની વાસ્તવમાં બની હતી. સાસુ-સસરાએ માતાપિતા બનીને પોતાની વહુના ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ ઘટના 2018ની છે. જ્યાં સસરાએ સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉત્તરાખંડના દેહરાદૂનના બાલાવાલાના રહેવાસી વિજય ચંદે પોતાના દીકરા સંદીપના લગ્ન 2014માં કર્યા હતા. કવિતા વહુ બનીને ઘરમાં આવી હતી. એક વર્ષ હસતા રમતા ક્યાં પસાર થઈ ગયું કોઈને પણ ખબર પડી નહીં. જોકે, ભગવાનને આ સુખ મંજૂર નહોતું.
2015માં હરિદ્વારમાં એક અકસ્માતમાં સંદીપનું મોત થયું. સંદીપ ગંગા નદીમાં ન્હાવા પડ્યો હતો. જોકે, મિત્રો સાથે ન્હાવા પડેલો સંદીપ ક્યારેય પાછો આવ્યો નહીં. તે ગંગામૈયાના ખોળામાં સમાઈ ગયો હતો અને કવિતાને નોંધારી મૂકીને જતો રહ્યો.
વિજય ચંદ તથા તેમના પત્ની કમલાએ વહુ કવિતાને હિંમત આપી હતી. જોકે, વહુ પણ કેટલા દિવસ સાસરે રહે. તેણે પોતાના પિયર જવાનું વિચાર્યું હતું.
અલબત્ત, કવિતાને પછી લાગ્યું કે જો તે પિયર જતી રહેશે તો તેના સાસુ સસરાને કોણ સંભાળશે. જોકે, પછી સાસુ સસરાએ વહુની સંમતિ લઈને તેના માટે છોકરો શોધવાનું શરૂ કર્યું હતું. ખાનગી કંપનીમાં કામ કરતાં ઋષિકેશના રહેવાસી તેજપાલ સિંહને કવિતા પસંદ આવી ગઈ હતી.
બંને પરિવારની મંજૂરી બાદ તેજપાલ તથા કવિતાના લગ્ન કરવામાં આવી હતી. વિજય ચંદ તથા કમલાએ દીકરીની જેમ કવિતાના લગ્ન કરાવ્યા હતા. દીકરી માનીને તેનું કન્યાદાન કર્યું હતું.