નાળું પાર કરતી વખતે એક મારુતી વેને બેલેન્સ ગુમાવ્યું અને તે પુલિયા ઉપરથી વહેતા પાણીની સાથે નાળામાં ગરકાવ થઇ ગઇ. નાળાના પાણીનો તાણ જ એટલો હતો કે જોત જોતામાં વેન પાણીમાં તણાઇ ગઇ. વેનમાં કુલ પાંચ લોકો સવાર હતા જેમાંથી એક જ વ્યક્તિને કૂદીને બહાર કાઢી શકાયો. તો એક મહિલા અને ડ્રાઇવરની લાશ મળી છે જ્યારે બાકી અન્ય લોકોની શોધખોળ ચાલું છે. આ દુર્ઘટના મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાની છે.
સોમવાર સવારે ક્ષેત્રમાં થઇ રહેલા મૂશળધાર વરસાદને કારણે બાગલી તાલુકાના કમલાપુર ગામ તથા સામગી કેલોદ ગામ વચ્ચે નીકળતું ડેહરિયા નાળામાં પૂર આવ્યું હતું. પુલની ઉપરથી પાણી વહી રહ્યું હોવા છતા મારુતિ વેન ચાલકે પુલ પાર કરવાનું જોખમ ખેડ્યું.
આ દરમિયાન જોત જોતામાં જ મારુતી વેન પાણીમાં તણાઇ ગઇ. ઘટના સમયે હાજર કેટલાક યુવાનોએ પાણીમાં કૂદી ડૂબી રહેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વેન રોકી શક્યા નહીં. પાણીનો તાણ હોવાને કારણે મુસાફર સહિત વેન તણાઇ ગઇ.
કહેવામાં આવી રહ્યું છે કે પુરુષ સહિત મહિલાઓ પણ મારુતિ વેનમાં સવાર હતી. મારુતિ વેનમાંથી એક યુવક અર્જુન પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. ચાર લોકો ગુમ હોવાની જાણકારી મળી છે.
તમામ લોકો બાગલીના ગ્રામ કમલાપુરના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અર્જુનના જણાવ્યા પ્રમાણે વેનને પપ્પુ ચલાવી રહ્યો હતો. વેનમાં અર્જુનની માતા રેખા બાઇ સિવાય કસ્તુરી બાઇ અને બાબુ સવાર હતા.
એટલે કે બે પુરુષ અને બે મહિલા એમ કુલ ચાર લોકો પાણીમાં વેન સાથે તણાયા. બાદમાં એક મહિલા અને ડ્રાઇવરની લાશ અને વેન પણ મળી આવી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલું છે.