મેરઠઃ પ્રેમિકાના જીવનમાં મિત્રના આવવાથી પ્રેમી રોષે ભરાયો હતો. સાથીની હત્યા કર્યા બાદ ભેજાબાજે મિત્રના મૃતકના પરિવાર સાથે ચાલી રહેલા ઝઘડાનો લાભ ઉઠાવી તેના જ પડોશના બે યુવકો પર આરોપ લગાવી દીધો. મૃતકના પરિવારજનોએ પણ હત્યારા મિત્રની વાતમાં વિશ્વાસ કરી પોલીસ સ્ટેશનમાં બે યુવકોના નામ લખાવી દીધી. ફરિયાદના આધારે પોલીસે બંને યુવકોને જેલ મોકલી દીધી પરંતુ બંને યુવકો એક જ વાત કરી રહ્યાં હતા કે તેઓ નિર્દોષ છે. બાદમાં પોલીસને શંકા ગઇ તો ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને બાદમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો. આ ઘટના યુપીના મેરઠના કંકરખેડા પોલીસ સ્ટેશનના માધવપુરમની છે.
માધવપુરમમાં રહેતા નિખિલ ઉર્ફ ગુડ્ડન અને ગૌરવ મિત્રો હતાં. બંને કંકર ખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડેરીમાં કામ કરતાં હતા. ગૌરવને ડેરી નજીક રહેતી એક યુવતી સાથે પ્રેમ હતો પરંતુ થોડા દિવસ બાદ ગૌરવને જાણવા મળ્યું કે તેની પ્રેમીકાના જીવનમાં બીજો કોઇ યુવક છે. આ યુવક બીજું કોઇ નહીં પરંતુ ગૌરવનો મિત્ર નિખિલ ઉર્ફ ગુડ્ડન જ છે. નિખિલ આ યુવતી સાથે લગ્ન કરવા પણ ઇચ્છતો હતો.
નિખિલ વિશે જાણ્યાં બાદ ગૌરવ એટલો રોષે ભરાયો કે તેણે નિખિલને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લઇ લીધો. 3 માર્ચે બંને બાઇક પર ડેરી પહોંચ્યા. જ્યાં યોજનાબદ્ધ રીતે ગૌરવે તમંચામાંથી નિખિલના માથામાં પાછળના ભાગે ગોળી મારી અને તમંચો ડેરીમાં જ છૂપાવી દીધો. ગોળી લાગવાથી નિખિલ ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.
નિખિલના મૃત્યુ બાદ ગૌરવે ભેજું લગાવ્યું અને નિખિલના પરિવારજનોને ખોટી કહાની સંભળાવી. ગૌરવે જણાવ્યું કે નિખિલને રોહિત અને કરણે એ સમયે ગોળી મારી જ્યારે તે તેની સાથે બાઇક પર ડેરી જઇ રહ્યો હતો. રોહિત અને કરણ બંને મૃતકના પડોશી હતા. આ બંનેની મૃતક નિખિલ અને તેના પરિવારજનો સાથે દુશ્મની હતી. મૃતકના પરિવારજનોએ ગૌરવની ખોટી વાત પર વિશ્વાસ કરી રોહિત અને કરણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી.
પોલીસે આરોપના આધારે રોહિત અને કરણની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા. પરંતુ પોતે નિર્દોષ હોવાની વાત કરતાં રહ્યાં. ત્યારબાદ મામલામાં જ્યારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી તો હકિકત સામે આવી ગઇ. મૃતકના મિત્રને ઘટના સ્થળે બોલાવીને સીન ઓફ ક્રાઇમનું રિહર્સલ કરાવવામાં આવ્યું. તો ગૌરવ દરેક વખતે અલગ અલગ વાત કહી રહ્યો હતો. પોલીસને જ્યારે શંકા ગઇ તો ગૌરવને થર્ડ ડિગ્રી સાથે પૂછપરછ કરી તો ગૌરવે અંતે હકિકત જણાવી દીધી.
એસપી સિટીએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી તમંચો મળી આવ્યો છે. કેસમાં નિર્દોષ રોહિત અને કરણને છોડી મૂકવામાં આવ્યા છે. આ પોલીસની તપાસનું જ પરિણામ છે કે નિર્દોષ બચી ગયા, જ્યારે ખોટી કહાની ઉભી કરનાર અને દોષિતને સજા થશે.