લખનઉ: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક વિચિત્ર કેસ સામે આવ્યું છે. ત્યાં શમશાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોવિંદપુર અસર ઉલ્લાહ ગામમાં આવેલી જાનૈયાઓનો નાસ્તા બાબતે વિવાદ થયો. તે પછી દારુના નશામાં કાર વડે ગામવાસીઓને અડફેટે લીધા, કાર નીચે કચડાઈ જવાથી દુલ્હનના ભાઈનું મોત થયું હતું. આ ઘટના બાદ તમામ જાનૈયા ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે વરરાજા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સોમવારે અસદુલ્લાપુર ગામમાં રામપાલની દીકરીના લગ્ન માટે જાન નવાબગંજ વિસ્તારથી આવી હતી. જાનૈયાઓનો નાસ્તા બાબતે વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન દારુના નશામાં વરરાજા મનોજે બોલેરો કાર વડે ગામવાસીઓને અડફેટે લેતા દુલ્હનના ભાઈનું મોત થયું હતું. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ મામલે દુલ્હનના પરિવારજનોએ જણાવ્યું કે, રાતે 8 વાગે જાન આવી હતી. જાનૈયાઓએ નાસ્તા મુદ્દે બોલાચાલી કરતા વિવાદ થયો હતો. જાનૈયાઓએ યુવતીના પરિવારના એક વ્યક્તિની ધોલાઈ કરી હતી.
જેની સૂચના મળવા પર લોકો ત્યાં પહોંચતા ઝઘડો થયો હતો. વરરાજા નશામાં ધૂત હતો અને તેણે બોલેરો કારથી ગામવાસીઓની ભીડ પર ચઢાવી દીધી હતી જેના કારણે દુલ્હનના નાના ભાઈનું મોત થયું હતું. જ્યારે ઘણા લોકોને ઈજા થઈ હતી.
આ મામલે ફર્રુખાબાદ એસપી ડૉ. અનિલ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, જાનૈયાઓનો અમુક બાબતે વિવાદ થયો હતો, જે પછી વરરાજાની કાર નીચે કચડાતા દુલ્હનના ભાઈનું મોત થયું હતું.
આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.