મુંબઈઃ સૈફ અલી ખાન હાલમાં પોતાની વેબ સિરીઝ ‘તાંડવ’ને કારણે ચર્ચામાં છે. આ સિરીઝનો વિવાદ ખાસ્સો વધી ગયો છે. સિરીઝમાં હિંદુ દેવી દેવતાઓની મજાક ઉડાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. વિવાદ વધતા આ સિરીઝ પર બૅન મૂકવાની માગણી થઈ છે. સોશિયલ મીડિયામાં સતત વિરોધ થઈ રહ્યો છે. સૈફ અલી ખાન જેસલમેરમાં શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રેગ્નન્ટ કરીના દીકરા તૈમુર સાથે મુંબઈ સ્થિત ઘરમાં એકલી છે. વધતા વિવાદને પગલે કરીનાના ઘરની નીચે પોલીસ સુરક્ષા કરવામાં આવી છે.
સામાન્ય લોકોની સાથે જ ભાજપ નેતાઓએ પણ વિરોધ કર્યો છે. કપિલ મિશ્રા, નરેન્દ્ર કુમાર ચાવલા, ગૌરવ ગોય તથા અલવરના સાંસદ બાલકનાથ સહિતના નેતાઓએ માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે.
વધતા વિરોધને પગલે માહિતી તથા પ્રસારણ મંત્રલાયે ‘તાંડવ’ વેબ સિરીઝ અંગે એમેઝોન પ્રાઈમ પાસેથી જવાબ માગ્યો છે. મંત્રાલયે સોમવાર, 18 જાન્યુઆરી સુધી જવાબ આપવાનું કહ્યું છે.
ભાજપ સાંસદ મનોજ કોટકે કહ્યું હતું કે આ સિરીઝને કારણે હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ સિરીઝના મેકર્સ તથા એક્ટર્સ વિરુદ્ધ કેસ કરવામાં આવે. તેમણે પત્ર લખીને સિરીઝ વિરુદ્ધ એક્શન લેવાની માગ કરી છે.
મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફ પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ફરી એકવાર એ જ સિરીઝનો હિસ્સો બન્યો, જેમાં હિંદુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.