એક આઘાતજનક અને શોકિંગ બનાવે બધાને હમચાવી દીધા છે. કૂવામાંથી એક સાથે ત્રણ સગી પરિણીત બહેનો અને તેમના બે દીકરા સહિત પાંચ-પાંચ લોકોની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. મરનાર ત્રણેય બહેનોના એક જ પરિવારમાં લગ્ન કરવામાં આવ્યા હતા. એક મૃતક બહેન નવ મહિનાની ગર્ભવતી હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના જયપુર પાસેના દુદુ ગામમાંથી બે દિવસ પહેલાં પાંચ લોકો ગાયબ થઈ ગયા હતા. ત્રણ પરિણીત સગી બહેન કાલી દેવી (27), મમતા મીણા (23), કમલેશ મીણા (20) ઘરથી ગુમ થઈ ગઈ હતી. તેની સાથે ચાર વર્ષનો દીકરો હર્ષિત અને 20 દિવસનો બીજો દીકરો પણ ગુમ થઈ ગયો હતો. આ બધા પાંચ લોકો 25મી મેના રોજ બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. સાંજ સુધીમાં પાછા ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. એક જ પરિવારના કુલ પાંચ-પાંચ લોકો ગુમ થઈ જતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગેની ફરિયાદ મળતાં પોલીસે પણ શોધખોળ આદરી હતી. આખા શહેરમાં ફોટો પણ વહેંચવામાં આવ્યા હતા. દરમિયાન દુદુ ગામથી 2 કિલોમિટર દૂર નરૈના રોડ પર એક કૂવામાં લાશો તરતી હોવાની પોલીસને ખબર મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કૂવાને સીલ કરી દીધો હતો. લાશોને કૂવામાંથી બહાર કાઢતા ગુમ થઈ ગયેલા પાંચ લોકોની લાશ હોવાની ઓળખ થઈ હતી.
પોલીસ પ્રાથમિક તપાસમાં આ કેસ સુસાઈડનો હોવાનું માની રહી છે. લોકોનું કહેવું છે કે ત્રણેય બહેનોએ બાળકોને મારીને કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો છે. પરિવાર અને ગામના લોકોની પૂછપરછ ચાલું છે. જાણકારી મુજબ આ ત્રણ બહેનોમાંથી એક કમલેશ નામની બહેન 9 મહિનાની ગર્ભવતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય સગી બહેનોએ એક સાથે દુદુ ગામના ત્રણ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. મોટી બહેન કલાદેવીને ચાર વર્ષનો દીકરો હર્ષિત હતો.
મહિલાઓના પતિ ખેતી અને જેસીબીનું કામ કરે છે. મૃતક બહેનોએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું એની પોલીસ તપાસ કરી કરી છે.