વૈજ્ઞાનિકોએ કહ્યું, કોરોનાની રસી આવે પણ ખરા અને ના પણ આવે, બચવું હોય તો કરો આ…
ન્યૂ યોર્કઃ HIV એટલેકે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સ વાઈરસ પર સંશોધન કરનારા એક જાણીતા અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું છે કે “તેમને નથી લાગતું કે કોરોના વાયરસની રસી જલ્દી આવવાની છે.” વિલિયમ હેસેલટાઇન જેમની કેન્સર, એચ.આઈ.વી અને અન્ય પ્રોજેક્ટ અંગેના કામની ચર્ચા કરવામાં આવી હતી, તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘કોવિડ -19 રસી કેટલા સમયમાં વિકસિત થવાની સંભાવના છે?’
તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘તેઓ તેની રાહ જોવી પસંદ કરશે નહીં કેમ કે તેમને લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં તે શક્ય છે’. તેમણે કહ્યું છે કે “કોરોના વાઈરસ રોગચાળાને રોકવા માટે, દર્દીઓની વધુ સારી તપાસ થવી જોઈએ, તેમને યોગ્ય રીતે શોધી કાઢી અને જ્યાં ચેપ ફેલાતો દેખાય છે, ત્યાં સખત આઈસોલેશન દ્વારા તેને અટકાવવો જોઈએ”.
અમેરિકાની સરકારને સલાહ આપતા તેમણે કહ્યું છે કે “તેમણે રસીની રાહ જોઈને બેસી રહેવું ના જોઈએ”. જો ટોચનાં નેતાઓ વિચારી રહ્યાં છે કે તેઓ રસી તૈયાર કરવાની જાહેરાતના આધારે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટ આપવાનો નિર્ણય કરશે, તો આ વ્યૂહરચના યોગ્ય નથી.
અગાઉ કોરોના વાઈરસની અન્ય જાતો માટે જે રસી તૈયાર કરવામાં આવી છે, તે નાકને સંક્રમણથી સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગઈ છે, જ્યાંથી વાઈરસ શરીરમાં પ્રવેશવાની સંભાવના છે. વિલિયમ હેસ્લેટિને કહ્યું છે કે કોઈપણ અસરકારક સારવાર અથવા રસીઓ વિના કોરોના વાયરસને નિયંત્રિત કરી શકાય છે. આ માટે, ચેપની સાચી ઓળખ જરૂરી છે.
જે લોકો સંક્રમિત છે તેમને આઈસોલેશનમાં રાખવા સૌથી વધારે કારગર છે. અન્ય લોકો હાથ ધોતા રહે, માસ્ક પહેરે અને સૌથી વધુ વપરાયેલી વસ્તુઓ અને સ્થાનોને સ્વચ્છ રાખે, તો પણ તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો આવી શકે છે. વિલિયમ હેસ્લેટિન માને છે કે ચીન અને અન્ય ઘણા એશિયન દેશોએ આ વૈકલ્પિક વ્યૂહરચના ખૂબ અસરકારક રીતે લાગુ કરી છે, જ્યારે યુ.એસ. માં એવું જોવા મળતું નથી કે જે લોકોને વાઈરસનો ચેપ લાગ્યો છે તેમને સખ્તાઇથી અલગ રાખવામાં આવ્યા હોય.
તેમના મતે, ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાન આ રીતે કોરોના વાયરસ ચેપ દર ઘટાડવામાં સફળ રહ્યા છે જ્યારે યુએસ, રશિયા અને બ્રાઝિલ નિષ્ફળ ગયા છે. પ્રોફેસર વિલિયમે કહ્યું, “પ્રાણીઓ પર કોવિડ -19 ની રસીના પ્રયોગથી અત્યાર સુધી એ તો જાણવા મળ્યુ છેકે, તે દર્દીના શરીરમાં, ખાસ કરીને ફેફસામાં ચેપની અસર ઘટાડી રહી છે.”
કેટલાક દેશોમાં પ્લાઝ્મા થેરેપીનું ટ્રાયલ પણ ચાલી રહ્યુ છે. આ ઉપચારમાં, કોવિડ -19થી સાજા થયેલાં દર્દીઓના શરીરમાંથી એન્ટીબોડી લઈને સંક્રમિત દર્દીઓનાં શરીરમાં નાંખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે દર્દીઓમાં કોરોના વાઈરસ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.
કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ હવે આ થેરાપીને ધ્યાનમાં રાખીને સારી અને રિફાઈન્ડ સીરમ તૈયાર કરી રહી છે. જે કોવિડ -19 દર્દીઓમાં કામ કરે તેવી સંભાવના છે. પ્રોફેસર વિલિયમ પણ આ પદ્ધતિના સફળ થવાની મોટી સંભાવના જુએ છે. તે કહે છે કે ભવિષ્યમાં આ તેની પ્રથમ સારવાર સાબિત થઈ શકે છે કારણ કે આ એન્ટિબોડીઝ, જેને હાઈપરિમ્યુન ગ્લોબ્યુલિન કહેવામાં આવે છે, માનવ શરીરના દરેક કોષમાં જઈને તેને વાઈરસને માત આપવાની ક્ષમતા આપે છે.