મુંબઈઃ 14 માર્ચ, 1965ના રોજ જન્મેલ આમિર ખાન 55 વર્ષના થઈ ગયાં છે. આમિરે બે વાર લગ્ન કર્યાં છે. તેમની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે, જેની સાથે ડિવોર્સ લીધા બાદ આમિરે કિરણ રાવ સથે લગ્ન કર્યાં. જોકે, આમિર અને રીનાની લવ સ્ટોરી પણ એક ફિલ્મી વાર્તા કરતાં જરા પણ ઉતરતી નથી. આમિરે પહેલાં લગ્ન માત્ર 21 જ વર્ષની ઉંમરે કર્યાં હતાં. તે સમયે રીનાની ઉંમર 19 વર્ષ હતી. ઉલ્લેખનીય છે કે આમિર ખાન અત્યારે તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
ઘણા ઓછા લોકોને ખબર છે કે, આમિર અને રીનાએ ઘણા દિવસો સુધી તેમનાં લગ્ન વિશે કોઇને જણાવ્યું નહોતું. ક્રિસ્ટીના ડેનિયલની બુક ‘આઈ વિલ ડૂ ઈટ માય વે : ઈનક્રેડિબલ જર્ની ઓફ આમિર ખાન’ માં આ લવસ્ટોરી લખવામાં આવી છે.
આમિર ખાન જ્યારે ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જ રીના સાથે લગ્ન કરી લીધાં હતાં. પરંતુ લગ્નના લગભગ એક વર્ષ પહેલાં બંનેનું અફેર શરૂ થઈ ગયું હતું. જોકે, ત્યારે આમિર 20 વર્ષના હતા અને રીના 18 વર્ષની હતી. એટલે સગીર હોવાના કારણે બંનેને લગ્ન માટે એક વર્ષની રાહ જોવી પડી હતી.
આમિર જેવા 21 વર્ષના થયા, તરત જ રીનાને લઈને કોર્ટમાં પહોંચ્યા અને બંનેએ ચૂપચાપ રજિસ્ટર્ડ મેરેજ કર્યાં અને પોતપોતાના ઘરે પાછાં જતાં રહ્યાં. દિવસો સુધી ફેમિલીને આ લગ્ન વિશે કંઈ જણાવ્યું નહીં. પરંતુ એકવાર રીનાની બહેનને શક પડ્યો અને તેણે પિતાને કહી દેવાની ધમકી આપી. એટલે રીના આમિરના ઘરે ગઈ અને કપલે પેરેન્ટ્સને તેમનાં લગ્ન વિશે જણાવી દીધું.
આમિર ખાનના પિતાએ તાહિર હુસૈને આ સંબંધને પ્રેમથી સ્વીકારી લીધો અને રીનાનું વહુ સ્વરૂપે સ્વાગત કર્યું. પરંતુ રીનાના પિતાએ આ સંબંધો સરળતાથી સ્વીકાર્યા નહોતા. દીકરીનાં લગ્ન વિશે ખબર પડતાં જ મિસ્ટર દત્તાને આઘાત લાગ્યો અને બીમાર પડી ગયા. પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ દરમિયાન આમિરે તેમની બહુ સેવા કરી, ત્યારે તેમને મિસ્ટર દત્તાના આશિર્વાદ મળી શક્યા. રીનાએ સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને તેના પિતા એર ઈન્ડિયામાં એક સીનિયર ઓફિસર હતા. જૂહી ચાવલાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ‘કયામત સે કયામત તક’ના શૂટિંગ દરમિયાન આમિર રોજ રીનાને મેસેજ મોકલતા હતા. એકવાર આખી યૂનિટ શૂટિંગ માટે ઉટીથી બેંગાલુરુ માટે રવાના થઈ રહી હતી, પરંતુ આમિરની રીના સાથે વાત નહોતી થઈ શકી. બધાં નીકળવાની તૈયારીમાં હતાં, પરંતુ આંખમાં આંસુ સાથે આમિરે કહી દીધું હતું કે, તે રીના સાથે વાત કર્યા વગર નહીં નીકળે.
જોકે, આમિર અને રીનાનાં લગ્ન લગભગ 16 વર્ષ ચાલ્યાં. ત્યારબાદ 2002માં બંને વચ્ચે ડિવોર્સ થઈ ગયા. તેમને બે બાળકો છે, દીકરો જુનૈદ અને દીકરી ઈરા, જેઓ રીના સાથે જ રહે છે.