મુંબઈ: બોલિવૂડ અન ટેલિવૂડ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રાઈટર એક અભિષેક મકવાણાએ પોતાના ઘરે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર મળતાં જ ટીવીના કલાકારોને આઘાત લાગ્યો હતો. પુત્રએ આત્મહત્યા કરી લેતાં પરિવારના સભ્યો આભ તુટી પડ્યું હતું. જોકે અભિષેકના પરિવારજનોને દાવો છે કે, તે સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હતો અને તને વારંવાર બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. અભિષેકને ધમકીભર્યા ફોન આવતાં હતાં અને લોનની બાકી રકમ ચૂકવી દેવાનું કહેવામાં આવતું હતું તેવું હાલ મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
જાણીતા અખબારના અહેવા પ્રમાણે, 37 વર્ષનો અભિષેક મકવાણા કાંદિવલીમાં આવેલા પોતાના ઘરમાં 27 નવેમ્બરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચાર સાંભળીને પરિવારજનો શોક્ડ થઈ ગયા હતા. જોકે અભિષેકની રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં આર્થિક સમસ્યા હોવાની વાત લખી હતી.
અભિષેકના ભાઈ જેનિસે કહ્યું હતું કે, અભિષેકના મોત બાદ તેને આ મુદ્દાની ખબર પડી હતી. જ્યારે તે અમદાવાદમાં હતો ત્યારે તેના મોતના સમાચાર મળ્યાં હતાં. ભાઈના મોબાઈલ પર સતત લોન ચુકવવા માટે ફોન આવતાં હતાં. તેણે એવું કહ્યું હતું કે, ભાઈ હવે આ દુનિયામાં નથી અને તે સમયે પરિવાર પણ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતો જોકે પછી ફોન પર તેને ધમકી આપવામાં આવતી હતી.
એટલું જ નહીં, તેણે ભાઈના મોબાઈલના દરેક મેસેજ ચેક કર્યાં હતા તો એક એવો મેસેજ મળી આવ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, જો તે લોન નહીં ચૂકવેતો આ માહિતી તેના મિત્રોમાં શેર કરી દેવામાં આવશે. જેનિસે વધુમાં ઉમેર્યું હતું કે, અભિષેકના મિત્રોને પણ આ જ પ્રકારના ફોન આવતા હતા પરંતુ તેણે આ મેસેજ દરેક મિત્રોને મોકલ્યા હતાં જેથી તેઓ આનો ભોગ ના બને.
જેનિસે વધુમાં જણાવ્યું હતું કે, ઈ-મેલ પરથી મને એક વાત સમજાઈ કે મારા ભાઈએ ઈઝી લોન એપ્સમાંથી એક લોન લીધી હોવાનું જાણવા મળ્યુ. આ લોનમાં વ્યાજદર વધારે હોય છે. મેં મારા ભાઈ તથા તેમની વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શનને હવે બારીકાઈથી જોવાનું શરૂ કર્યું હતું ત્યારે એક વાત મારા ધ્યાનમાં આવી કે ભાઈએ લોન માટે અરજી કરી નહોતી છતાં પણ તેઓ થોડી થોડી રકમ મોકલતા હતા. આ લોન પર તેમણે 30 ટકાનો વ્યાજદર ગણ્યો હતો.
મુંબઈના ચારકોપ પોલીસે જણાવ્યું હતું કે, સુસાઈડ નોટ ગુજરાતીમાં લખવામાં આવેલી છે. અભિષેકે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, તે છેલ્લા કેટલાક મહિનાથી અંગત જીવન તથા આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. તેણે પરિવારની માફી માગી હતી. તેણે પરિસ્થિતિ સામે લડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ તે હારી ગયો હતો. સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જ જતી હતી.