મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, અનિલ અંબાણીની ઈંફ્રાટેલની સંપત્તિનું અધિગ્રહણ કરવાની છે. જેના માટે જિયોને રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ(NCLT) પાસેથી રિલાયન્સ ઈન્ફ્રાટેલ ( RITL)ના રિઝોલ્યૂશન પ્લાનને મંજૂરી મળી ગઈ છે.
આ મંજૂરી એવા સમયમાં મળી છે જ્યારે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મોટાભાગની કંપનીઓ વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તો, અનિલના મોટાભાઈ મુકેશના કારોબારનો વિસ્તાર થઈ રહ્યો છે. આ વર્ષે અનિલ અંબાણીએ લંડનની એક અદાલતને કહ્યું હતું કે તેમની નેટવર્થ ઝીરો છે તો, અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ 75 બિલિયન ડૉલર કરતા વધુ છે. હાલમાં જ રિલાયન્સના જિયો પ્લેટફોર્મને દુનિયાભરના અલગ-અલગ દેશોમાંથી રોકાણ મળ્યું છે.
જિયોને શું-શું મળશે
રિલાયન્સ ઈંફ્રાટેલના દેશભરમાં 43 હજાર ટાવર અને 1 લાખ 72 હજાર કિમીની ફાયબર લાઈન છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો તેનું અધિગ્રહણ કરશે. જેના કારણે ઋણદાતા લગભગ 4 હજાર કરોડ રિકવર કરી શકશે. ઋણદાતાઓએ આ પ્લાનને 100 ટકા મત આપ્યા છે.
જણાવી દઈએ કે અનિલ અંબાણી ગ્રુપની અન્ય એક કંપની રિલાયન્સ કેપિટલ પર પણ આર્થિક સંકટ છે. આ જ કારણ છે કે કંપનીના અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે. 21 ઑક્ટોબર, 2020 સુધીમાં રિલાયન્સ કેપિટલ પર 20 હજાર કરોડ જેટલું દેવું હતું. રિલાયન્સ ગ્રુપની અલગ-અલગ કંપનીઓ પર ઋણનો બોજ છે.
જિયોની સામે આ પડકાર
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો સામે એરટેલે નવો પડકાર મુક્યો છે. મહિનાના આધાર પર નવા ગ્રાહકો જોડવાની રેસમાં એરટેલે જિયોને પછાડ્યું છે. લગભગ ચાર વર્ષમાં પહેલી વાર જીયો પછડાયું છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં જીયો ટેલિકોમ સેક્ટરમાં આવ્યું હતું.
જે બાદથી અનેક ટેલિકોમ કંપનીઓએ કારોબાર સમેટી લીધો. તો કેટલીક કંપનીઓનો વિલય પણ થઈ ચુક્યો છે. ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો, એરટેલની સાથે વોડા-આઈડિયા છે. મોબાઈલ કનેક્શનની સંખ્યાના મામલે રિલાયન્સ જિયો 40.41 કરોડ ગ્રાહકો સાથે પહેલા સ્થાને છે.