Only Gujarat

Gujarat

પતિ-પત્નીની ઉંમરમાં 17 વર્ષનો તફાવત છતાં પ્રેમમાં પડ્યા, વાડીએ આવતા-જતા મળી હતી આંખ

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામમાં એક ભેદી આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં માત્ર ફૂલહાર વિધિ કરીને લગ્ન કર્યા બાદ ઘરમાં એકસાથે જ રહેતા 42 વર્ષના પતિ અને 25 વર્ષની પત્નીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું. છેલ્લાં છ વર્ષથી એકસાથે જ રહેતાં પતિ-પત્નીએ શા માટે સજોડે આત્મહત્યા કરી એ અંગે રહસ્ય ઘેરાયું છે. શું તેમણે ખરેખર આ આત્મહત્યા જ છે કે તેમની હત્યા કરીને તેમના મૃતદેહોને લટકાવી દેવામાં આવ્યા એ તપાસનો વિષય છે.

આ અંગેની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દાધોળિયા ગામે રહેતા હકાભાઇ વાળંદ પરિવાર સાથે સરા ગામમાં રહીને ખેતી કામ કરતા હતા. તેમની બાજુમાં બળદેવભાઇ વીરજીભાઇ વરમોરાની વાડી આવેલી છે. બાજુ બાજુમાં રહેતા હોવાના કારણે તેઓ એકબીજા પોતાની વાડીએ આવતા-જતા હતા. તે દરમિયાન હકાભાઇની દીકરી હેમા અને બળદેવભાઇ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જોકે બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો છતાં તેમણે એકબીજાએ સાથે રહેવાનું નકકી કર્યું હતું. આ અંગે પરિવારજનોને વાત કરતા હેમાના માતા-પિતાએ આ સંબંધનો સ્વીકાર કરી લીધો હતો. જેથી છ વર્ષ પહેલાં ફૂલહાર કરીને બંનેએ કુટુંબીજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા.

દરમિયાન ગત ગુરુવારે રાતે બળદેવભાઇની વાડીએ રહીને ખેતી કરતો સુરેશ બાઇક લેવા બળદેવભાઇના ઘરે ગયો હતો. તે સમયે તેણે બંનેની લટકતી લાશ જોઇ હતી અને તેનાથી તે ડઘાઇ ગયો હતો. હેમાએ ઘરના ધાબાના હૂક સાથે સાડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી જ્યારે બળદેવભાઇએ નાટના લાકડા સાથે દોરડું બાંધીને આપઘાત કર્યો હતો.

આ અંગે જાણ થતાં પીએસઆઇ ડી.જે.ઝાલા, રોહિતભાઇ રાઠોડ અને ગિરીરાજસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંનેએ શા માટે આત્મહત્યા કરી એની તપાસ પોલીસે શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં તો બંને હસીખુશી સાથે સગાને ત્યાં લગ્નમાં ગયાં હતાં. ત્યાથી આવ્યા બાદ બંને વચ્ચે કોઇ ઝઘડો કે તકરાર થઇ ન હતી. તો શા માટે આવો અણધાર્યો નિર્ણય લીધો તે સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. એવું પણ બની શકે કે એકે પહેલા આપઘાત કરી લીધો હોય અને તેનાથી અન્યને લાગી આવતાં તેણે પણ મોતને ગળે લગાડ્યું હોય.

જો કે શંકાની વાત એ છે કે પતિ અને પત્નીની લાશ જુદા-જુદા રૂમમાંથી મળી આવી હતી. જો બન્નેને સાથે મરવાની ઇચ્છા હોય તો એક જ રૂમમાં જોવા મળે. પરંતુ હેમાબેન દરવાજા પાસના રૂમમાં તો બળદેવભાઇ થોડા દૂર આવેલા રૂમમાં લટકતી હાલતમાં મળતાં આ ખરેખર આપઘાત જ છે કે પછી હત્યાનો બનાવ છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

You cannot copy content of this page