Only Gujarat

Gujarat

માતાને કઢંગી હાલતમાં જોઈ ગયેલા પુત્રની પ્રેમીએ હત્યા કરી, મોં પર લાતો મારી, ગળું દબાવી દીધું

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મેમદપુર ગામે આજથી અંદાજે 8 મહિના પહેલાં ચકચારી કેસ સામે આવ્યો હતો. જેમાં મહિલાના આડા સંબંધોએ તેના જ છ વર્ષના માસૂમ પુત્રનો જીવ લઈ લીધાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. મૃતક બાળક તેની માતા અને માતાના પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. આ વાત બાળક કોઈને કહીં ના દે તે માટે ઘર આગળથી બાળકને ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ ખેતરમાં લઈ જઈ મોં પર લાતો મારી, તેનું ગળું દબાવી નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો. ગામના બાલસાસણ જવાના રસ્તે રોડ નજીક ઝાડીમાંથી આ બાળકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યાના ગણતરીના કલાકોમાં સાંથલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો છે.

આ દર્દનાક ઘટનાની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મેમદપુર ગામે કટોસણવાસમાં રહેતા લલીતજી શકરાજી ઠાકોર અમદાવાદની એક કંપનીની વિવિધ સાઈટ પર ગેસ પાઈપના વેલ્ડિંગકામ કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર જગદીશજી શનિવારે સાંજે ઘર આગળ રમતો હતો અને પાંચ વાગ્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો.

આશરે છ વાગ્યાની આસપાસ ગામના બાલસાસણ રોડ ઉપર શિતળા માતાના મંદિર પાછળ એરાવાળા આંટામાં વિષ્ણુજી ઠાકોરના ખેતરમાંથી જગદીશજીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. તેના ગાલ સહિતની જગ્યાએ મારનાં નિશાન હતાં તેમજ ગરદન પર ગળું દબાવ્યાના નિશાન હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને આ બાબતે પોલીસને જાણ કરી હતી. તેના પગલે સાંથલ પોલીસ મથકના પીએસઆઈ વાય.એચ.રાજપૂત સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી ધરી હતી.

આ કેસ ઉકેલવા માટે સાંથલ પોલીસની સાથે મહેસાણા એલસીબી, એસઓજી સહિતની ટીમો જોડાઈ હતી અને ઝીણવટભરી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે ગામના જ શંકાસ્પદ યુવાન સંજયજી ગોપાળજી ઠાકોરની સઘન પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સંજયજીને જગદીશજીની માતા સાથે આડા સંબંધ હોઈ જગદીશજી આ બાબતે કોઈને જાણ ના કરી દે તે માટે સંજયજી માસૂમને ઘર આગળથી ઉઠાવીને ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેના મોઢા ઉપર લાતો મારીને તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, કેસને આડા પાટે ચઢાવવા તેનું પેન્ટ કાઢી નાખી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દીધો હતો. પોલીસે લલીતજીની ફરિયાદના આધારે સંજયજી ગોપાળજી ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસનું માનીએ તો પુત્ર જગદીશજીએ પિતા લલીતજીને બે દિવસ પહેલા જ એક ચોંકાવનારી વાત જણાવી હતી. એક દિવસ અગાઉ જગદીશજી તેની માતા સાથે ગયો હતો ત્યારે તેની માતા તેને ચરામાં બેસાડીને થોડી દૂર ગઈ હતી. ઘણીવાર થવા છતાં માતા પરત ન ફરતાં જગદીશજી તે તરફ ગયો હતો. તે સમયે તેણે પોતાની માતા અને સંજયજીને કઢંગી હાલતમાં જોયાં હતાં. તેની માતા ત્યાંથી દોડીને નિકળી ગયા બાદ સંજયજી બાળકને મારવા જતાં તે દોડીને માતા પાસે જતો રહ્યો હતો.

બીજી તરફ આરોપી સંજયજીએ પહેલા પોલીસને એવું જણાવ્યું હતું કે, જગદીશજીને કોઈ અજાણ્યા શખ્સો ઈકો ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા છે. આ અપહરણ તેણે જોયું હોવાનો દાવો કરીને પોલીસ સહિતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જગદીશજીની લાશ મળી તે સહિત તપાસ વખતે સતત હાજર સંજયજીનાં નિવેદનો અને સ્થિતિમાં વિરોધાભાસ જણાતા પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને છેવટે તેની કડક પૂછપરછ કરી હતી. જેમાં તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

 

You cannot copy content of this page