નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેમાંથી દિલ્હી અને મહારાષ્ટ્રમાં દરરોજ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે, મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. દિલ્હીના નિગમબોધ ઘાટમાં વર્ષોથી અંતિમ વિધિ કરાવનારા આચાર્યોએ મીડિયાને જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન તેમની સમસ્યાઓ વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાશો એટલી બધી વધી ગઈ છે કે તેમને રાખવા માટેની પણ જગ્યા ઉપલબ્ધ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 15 દિવસથી નિગમબોધના આચાર્ય અને તેમની ટીમ દરરોજ 40 થી 50 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાવી રહી છે. સ્થિતિ એ છે કે તેઓ પણ હવે થાકી ગયા છે. સતત વધતી જતી લાશોને જોઈને તેઓ પણ પરેશાન થઇ રહ્યા છે.
સ્મશાન ઘાટ નિગમબોધના આચાર્યો કહે છે કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની લાશ વધવા લાગી ત્યારે સરકારે વધુ 4 સ્મશાન ઘાટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. દેશની રાજધાની દિલ્હીમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો આંકડો 34,૦૦૦ને વટાવી ગયો છે, ત્યાં બીજી તરફ મૃત્યુઆંક પણ દરરોજ વધી રહ્યો છે. સ્થિતિ એ છે કે સ્મશાનભૂમિઓમાં હવે જગ્યા ઓછી પડી રહી છે.
આ જ કારણ છે, જ્યાં પહેલા બે જ સ્મશાન ઘાટ દિલ્હીમાં હતા, તે વધારીને 4 કરવામાં આવ્યા છે. સ્મશાન ઘાટમાં રોજના જેટલા પણ કોરોના દર્દીઓના મૃતદેહ લાવવામાં આવે છે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. તેમાં પણ 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે.
નિગમબોધ ઘાટમાં લોકોના અંતિમ સંસ્કાર માટે 100 જેટલા પ્લેટફોર્મ છે, જેમાંથી આજકાલ 48 પ્લેટફોર્મ પર કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્થિતિ એ છે કે બધા પ્લેટફોર્મ સંપૂર્ણ ભરેલ છે. એક પછી એક એમ્બ્યુલન્સમાં શબને લાવી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીની મોનિકા નામની મહિલાએ મીડિયા સાથે વાત કરી છે અને દુઃખ સાથે જણાવ્યું કે તેના પિતાને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોનિકાનો આરોપ છે કે તેના પિતાનું મોત હોસ્પિટલની બેદરકારીને કારણે થયું છે. સવારે તેણી જ્યારે હોસ્પિટલ પિતાનો મૃતદેહ લેવા પહોંચી ત્યારે હોસ્પિટલમાંથી કોઈ બીજી જ વ્યક્તિનો મૃતદેહ તેને આપવામાં આવ્યો હતો.
મોનિકાની મુશ્કેલીઓ અહીં સમાપ્ત થઈ નહોતી, પરંતુ જ્યારે નિગમબોધ ઘાટ તેના પિતાના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા તો ત્યારે પણ ત્યાં 4 થી 5 કલાક રાહ જોવી પડી. પંજાબી બાગ સ્મશાન ગ્રાઉન્ડની પણ આવી જ સ્થિતિ છે, જે દિલ્હીમાં એકમાત્ર સંપૂર્ણ કોરોના ગ્રાઉન્ડ છે. આ ઘાટમાં 4 સીએનજી અને 71 લાકડાથી સળગતી ચિતાઓની વ્યવસ્થા છે. મેદાનના તમામ પ્લેટફોર્મ પર એક સાથે અનેક ચિતાઓને સળગાવવામાં આવી રહી છે, જે ખુબ બિહામણું છે.