ઉત્તરપ્રદેશના કાનુપરમાં હૃદયને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહી લોકડાઉનના કારણે યુવકની નોકરી છૂટી ગઇ હતી. આર્થિક તંગીના કારણે ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા હતા. આર્થિક તંગીના કારણે ઘરકંકાસ પણ વધી ગયો. આ બધી જ પરિસ્થિતિથી કંટાળીને પતિ પત્નીએ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી દીધું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં
ન્યૂ આઝાદનગરમાં ભાડાના મકાનમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર વર્માએ પોલીસને જણાવ્યું કે, મૃતક પ્રિન્સ એક દવાની કંપનીમાં કામ કરતો હતો. પ્રિન્સની ફેસબુકના માધ્યમથી દેવરિયામાં રહેતી ચંદ્રિકા સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્નથી ચંદ્રિકાના પરિજન નારાજ હતા તેથી તેમણે દીકરી સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.
દીકરાની ખુશી માટે 25 જુલાઇ 2028માં તેમના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં હતા. જૂન 2019એ દીકરાનો જન્મ થયો. બધુ જ સારી રીતે ચાલતું હતું. પરંતુ લોકોડાઉનના કારણે અચાનક નોકરી છૂટી ગઇ. આર્થિક તંગીના કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. મૃતકના પિતાના જણાવ્યા મુજબ શુક્રવાર રાત્રે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
શનિવાર સવારે મૃતકના પિતા કામ પર જતાં રહ્યાં અને તેમની માતા તેમની બહેનને ત્યાં ગઇ હતી. મકાન માલિક પણ બહાર ગયા હતા. આ સમયે બપોરે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઝઘડા બાદ પ્રિન્સે સાડીના સહારે પંખા પર ફાંસીનો ફંદો લગાવીને જીવન ટૂંકાવી દીધું. પતિને આ રીતે ફંદામાં ઝૂલતા જોઇને પત્નીએ તેમના પિતરાઇ ભાઇને ફોન કરીને ઘટનાની જાણકારી આપી.
ત્યારબાદ ચંદ્રિકાએ પણ તેમના દીકરાને બીજા રૂમમાં છોડીને દુપટ્ટાની મદદથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘરે પહોંચતા જ માસૂમ રડતો જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘરકંકાસ અને આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.