અમદાવાદઃ સૌરાષ્ટ્રને આઝાદી બાદ પ્રથમ વખત રણજીનો ખિતાબ અપાવવામાં મુખ્ય ભુમિકા નીભાવનારા ઝડપી બોલર અને કેપ્ટન જયદેવ ઉનડકટે રવિવારે (15 માર્ચ) સગાઇ કરી. પોરબંદરના આ 28 વર્ષિય બોલરે પોતાની મંગેતર રિન્નીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ટ્રોફી જીત્યા ને બે દિવસ બાદ જ અચાનક ઉનડકટે પોતાના ફેન્સને બીજી ખુશખબર આપ્યા હતાં.
ઉનડકટે પોસ્ટમાં દિલનું ઇમોજી અને એક રિંગ સાથે આ તસવીર શેર કરી હતી. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ‘છ કલાક, બે ટકનું જમવાનું અને એક મડ કેક’ નોંધનીય છે કે રિન્ની અમદાવાદની છે અને તે એક એડવોકેટ છે.
ભારતીય ખેલાડી અને સૌરાષ્ટ્રના તેમના સાથી ચેતેશ્વર પુજારાએ પણ સોશિયલ મીડિયા પર ઉનડકટને શુભેચ્છા આપીને કહ્યું કે પરિવારમાં સ્વાગત છે રિન્ની, મને ખુબ જ ખુશી છે કે ઉનડકટને તેની જીવનસાથી મળી ગઈ.
પંજાબના ઝડપી બોલર સિદ્ધાર્થ કોલ, મનદીપ સિંહ અને વિદર્ભના હરફનમૌલા ફેઝ ફઝલે પણ ઉનડકટને શુભકામના પાઠવી હતી.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને પોતાના હોમગ્રાઊન્ડમાં ઐતિહાસિક જીત મેળવી હતી.
ઉનડકટે રણજી સિઝનમાં 13.23ની સરેરાશથી 67 વિકેટ ઝડપી હતી. તેણે ફાસ્ટ બોલર તરીકે રણજીની એક સિઝનમાં સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.