બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિશ્વને બસ એક જ આશા હતી, તેનો અંત ક્યારે આવશે. 75 વર્ષ પછી, એવું જ દ્રશ્ય ફરીથી જોવા મળી રહ્યુ છે, જ્યારે દરેક લોકો કોરોના વાયરસ સમાપ્ત થવાની રાહ જોતા હોય છે. દુનિયાભરમાં ચેપના 1.5 કરોડથી વધુ કેસ છે અને છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી 12 લાખથી વધુ કેસ ભારતમાં જ છે. સ્વાભાવિક છે કે, દરેકની નજર કોરોના વાયરસ રસી પર છે, જેને ભારત સહિત ઘણા દેશો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડઝનેક ક્લિનિકલ ટ્રાયલ્સ થઈ રહી છે અને કેટલાક દેશોમાં આ ટ્રાયલ્સ બીજા તબક્કામાં પહોંચી ગયા છે. આશા રાખવામાં આવી છે કે વર્ષના અંત સુધીમાં એક રસી તૈયાર થઈ શકે છે. પરંતુ જો રસી બની જશે, તો તેને વિશ્વના દરેક ખૂણામાં કેવી રીતે પહોંચાડાશે?
વેક્સિન નેશનલિઝ્મ
કોરોના વાયરસના વિનાશથી બધા, ધનિક અને ગરીબ, નબળા અને શક્તિશાળી લોકોના મનમાં ભય અને શંકા ઉભી થઈ છે. ‘વેક્સિન નેશનલિઝ્મ’એ ભય અને આશંકાઓને જન્મ આપ્યો છે. કોવિડ -19 નો રોગચાળો શરૂ થતાં જ ઘણા દેશોએ રસી અંગે સંશોધન શરૂ કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સે બે વાર સ્પષ્ટ કર્યું છે કે આપણા દેશમાં કોઈ પણ રસી બનાવવામાં આવે તો તેની પ્રથામિકતા અમેરિકન નાગરિકો સુધી પહોંચવાની રહેશે. રશિયા જેવા દેશોએ પણ આડકતરી રીતે આ પ્રકારની વાત કહી છે. તેમના દેશોને પ્રાથમિકતા આપવાની નીતિને ‘વેક્સિન નેશનલિસ્મ’ અથવા ‘રસી રાષ્ટ્રવાદ’ કહેવામાં આવી રહ્યુ છે. આવું પહેલાં પણ જોવા મળ્યુ છે.
2009માં H1N1 સંકટ દરમ્યાન, ઓસ્ટ્રેલિયાએ બાયોટેક મેન્યુફેક્ચરિંગ કંપની ‘સીએસએલ’ ને કહ્યું હતું કે સ્થાનિક સપ્લાય પૂર્તિ બાદ જ અમેરિકામાં રસી મોકલી શકાશે. આ સ્થિતિમાં, ચિંતા માત્ર ગરીબ અને પછાત દેશોમાં જ નથી, પરંતુ જ્યાં રસીના ઘણા બધા પરીક્ષણો ટ્રાયલ કરાઈ રહ્યા છે.
સવાલ એ પણ છે કે રસી બનાવનારનું તેની ઉપર કેટલું નિયંત્રણ હશે?
ગ્લોબલ ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ (વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિ અધિકાર) હેઠળ, રસી ઉત્પાદકને 14 વર્ષની ડિઝાઇન અને 20 વર્ષની પેટન્ટનો અધિકાર મળે છે. પરંતુ આ રોગચાળો ફાટી નીકળવાના પગલે, સરકારો પણ “અનિવાર્ય લાઈસન્સિંગ”નો માર્ગ અપનાવી રહી છે, જેથી થર્ડ પાર્ટી તેને બનાવી શકે. એટલે કે, કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહેલી દેશની સરકાર કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુરોપિયન યુનિયન એવા પણ વિકલ્પોની શોધમાં છે કે, જેનાંથી પેટન્ટ લાઇસન્સિંગની એક બેંક બનાવીને તમામ દેશોને રસી આપી શકાય. જો કે હજી સુધી આવા કોઈ ડ્રાફ્ટ પર સંમતિ બની નથી, પરંતુ તે સૌથી મોટો પડકાર બની શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં WHOના ક્ષેત્રીય નિર્દેશક ડૉક્ટર પૂનમ ખેત્રપાલને લાગે છેકે”જો અસરકારક કોવિડ રસી બને છે, તો તે 2021 ના અંત સુધીમાં બે અબજ લોકો લોકો સુધી તેના ડોઝ પહોંચાડવાનો ઈરાદો છે.” આમાંથી, 50% તે દેશોમાં પહોંચાડવામાં આવશે, જે નીચી અને મધ્યમ આવક વર્ગમાં આવે છે. પરંતુ આ માટે, દેશોએ તેમની સિસ્ટમ વધુ સારી બનાવવી પડશે જેથી લોકોને દવા પહોંચાડવાની અસરકારક રીત અગાઉથી તૈયાર થઈ શકે.
રસીની રાહ જોતા તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, રસી બનશે તો પણ લોકોની સમસ્યા રાતોરાત ખતમ થશે નહીં. સામાન્ય લોકો સુધી પહોંચાડવી એ એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે. તો એક તરફ, જ્યાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સરકારો અસરકારક કોવિડ રસી બનાવવા માટે હરિફાઈ કરી રહી છે, ત્યાં બીજી તરફ, એવી ચર્ચા પણ ફેલાઇ છે કે પહેલા તે કોને મળશે અને કોને નહી. સ્વાભાવિક રીતે, દર્દીઓ પછીનો પ્રથમ અધિકાર હેલ્થવર્કર્સ, બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનો રહેશે. વિકાસશીલ દેશોમાં જેનરિક દવાઓ અને રસીકરણ અંગે લાંબા સમયથી કામ કરી રહેલી લીના મેઘાણી, એમએસએફ એક્સેસ ઝુંબેશના દક્ષિણ એશિયાના પ્રમુખ છે અને તેમને લાગે છે કે “દેશની આરોગ્ય પ્રણાલી કેટલી મજબૂત અથવા નબળી છે તેની અસર રસીકરણ પર દેખાશે.”
લીના મેંઘાનીએ કહ્યું, “ઉદાહરણ તરીકે લો, ન્યુમોનિયાની રસી, જે હજી પણ ભારતમાં માત્ર 20% બાળકો સુધી પહોંચે છે, તેનું મુખ્ય કારણ કિંમત છે. એટલે કે, પ્રત્યેક બાળક દીઠ આશરે 10 ડોલર મુજબ, ભારત સરકારે આ રસી ગેવી એટલે કે ગ્લોબલ વેક્સિન એલાયન્સ પાસેથી ખરીદે છે. તેથી, નક્કર આરોગ્ય પ્રણાલી ઉપરાંત, કોઈ પણ ભાવિ રસીની કિંમતની મોટી ભૂમિકા રહેશે.”
કોવિડ -19 રોગચાળાની શરૂઆત થતાં જ વિશ્વના લગભગ તમામ દેશોએ તેનો ઉકેલ લાવવા માટે સહમતિ દેખાડી છે, પરંતુ જેમ જેમ રસી સંશોધનની પ્રક્રિયા આગળ વધતી ગઈ તેમ તેમ, મતભેદો પણ વધતા ગયા. સરકારો વચ્ચેના મતભેદોનું આંતરરાષ્ટ્રીય સ્તરે સમાધાન કરવું પડશે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારત જેવા દેશમાં સવા અબજથી વધુની વસ્તી ધરાવતા દેશમાં વધુ એક મુશ્કેલી છે.