આખી દુનિયા કોરોનાવાયરસનં પીકની રાહ જોઈ રહી છે. પીક એટલે કે, તે દિવસ જ્યારે કોરોનાવાયરસના પૉઝિટીવ કેસોમાં વધારો થવાની ગતિ અટકી જશે અને રિકવરી રેટ 100% સુધી જવા લાગશે. ત્યારે અમે માનીશું કે, કોરોનાવાયરસથી પુરી રીતે છુટકારો મળી ગયો છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની સંશોધન ટીમે કોરોનાવાયરસના વધતા જતા કેસોનો અભ્યાસ કર્યો છે, જેથી તેની આર્થિક બાજુ સમજી શકાય. જુદા જુદા દેશોમાં પીકનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે ઘણા દેશોએ 69% થી 75%નો રિકવરી રેટ થતાની સાથે જ કોરોનાવાયરસનો પીક પ્રાપ્ત કરી લીધો. તેમાં એમ પણ કહ્યું હતું કે, તકનીકી અધ્યયનના આધારે, તે કહી શકાય છે કે જે દિવસે ભારતમાં 75% રિકવરી રેટ આવશે, ત્યારે તે કોરોનાની પીક હશે.
શું ભારતમાં કોરોનાનું પીક આવી ગયું છે?
એસબીઆઈ સંશોધકોના જણાવ્યા મુજબ ભારતમાં 30 જુલાઈ પછીના 15 દિવસમાં કોરોનાવાયરસના 10 લાખ કેસ નોંધાયા છે. દરમિયાન, રિકવરી રેટ પણ વધીને 73%ની સપાટીને પાર કરી ગયો છે. એટલે કે રિક્વરી રેટ વધુ 2% વધશે તો કોરોનાનો પીક આવી જશે.
તે બાદ પણ પીક આવ્યું છે કે, નહીં તેને લઈને કોઈ દાવો કરી શકાતો નથી. તેનું એક કારણ એ છે કે, બ્રાઝિલમાં 69% પર જ્યારે સાઉદી અરબમાં 64.9% પર જ કોરોનાનો પીક આવી ગયો હતો. જ્યારે અમેરિકામાં તો બે વાર પીક પાર કરી ચૂક્યું છે.
ભારતીય રાજ્યોમાં પીક ક્યારે આવશે?
ભારતના દરેક રાજ્યના આંકડા પોતાની અલગ વાર્તા કહી રહ્યા છે. એસબીઆઇએ પોતાના અહેવાલમાં 27 રાજ્યોમાં કોરોના કેસનો અભ્યાસ કર્યો છે. આ મુજબ, કોરોના માત્ર પાંચ રાજ્યો એટલે કે દિલ્હી, તામિલનાડુ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરામાં પીકને પાર કરી ગયો છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પીક ઘણો દૂર છે.
પૉઝિટીવિટી રેટ અને દર દસ લાખ કેસોનું વિશ્લેષણ કરીએ તો, મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પોઝિટિવિટી રેટ વધુ હોવા છતાં દર દસ લાખ વસ્તીનાં હિસાબથી ઘણાં ઓછા છે. જ્યાં સુધી ટેસ્ટની સંખ્યા નહીં વધે ત્યાં સુધી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે નહીં.
ભારતમાં 100 થી 1 લાખ કેસ પહોંચવામાં 65 દિવસનો સમય લાગ્યો હતો. જાહેર છે આ સમય દરમિયાન સખત લોકડાઉનનાં નિયમો અમલમાં હતા. અનલોક શરૂ થતાં જ, કેસો સતત વધતા જતા હતા. માત્ર 59 દિવસમાં ભારત એક લાખથી 10 લાખ કેસો સુધી પહોંચી ગયું. ભારતમાં આ સમયમાં 22 દિવસમાં કેસ ડબલ થઈ ગયા હતા. જે આર્જેન્ટિના અને યુએસ જેવા દેશોની સરખામણીએ બરાબર હતા. જોકે, વિશ્વમાં કેસ ડબલિંગ રેટ હવે 43 દિવસનો થઈ ગયો છે.
ભારતમાં અત્યાર સુધીમાં 3.17 કરોડ ટેસ્ટ કરાયા છે
ભારત સરકારની સ્ટ્રેટેજી હજી પણ ‘ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ’ પર કેન્દ્રિત છે. મંગળવાર અને બુધવારે આઠ લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. સરકારે તેના પરીક્ષણની ક્ષમતામાં વધારો કર્યો છે.
અત્યાર સુધીમાં 3.17 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે, દર દસ લાખની આબાદી પર 23 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2020 માં એક લેબ હતી જ્યારે આજે 1,486 લેબ્સમાં ટેસ્ટિંગ થઈ રહ્યુ છે.