ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બંધ વચ્ચે એક લારીવાળાએ બોર્ડ લગાવ્યું છે, જેને જોઈ તમામ લોકો ચોંક્યા હતા. બોર્ડ પર લખ્યું હતું કે,‘પૈસા હોય તો ખરીદો અને ના હોય તો મફતમાં લઈ જાવ.’ લોકો આ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યાં છે. વાસ્તવમાં શાકભાજીની લારી ચલાવતો આ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંધના કારણે તે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને શાકભાજી પહોંચાડી રહ્યો છે.
બંધ દરમિયાન જ્યારે તેને પ્રાઈવેટ કંપની તરફથી સેલેરી મળતી બંધ થઈ તો રાહુલ લાબડેએ ગુજરાન ચલાવવા પિતા સાથે શાકભાજી વેચવાનો નિર્ણય કર્યો. પ્રારંભમાં તે અન્ય શાકભાજીવાળાઓની જેમ બજાર ભાવે શાકભાજી વેચતો હતો પરંતુ તેણે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મફતમાં શાકભાજી આપવાનો નિર્ણય કર્યો.
રાહુલે જણાવ્યું કે,‘એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી અને તેણે 5 રૂપિયાની શાકભાજી આપવા કહ્યું કારણ કે તેમની પાસે પૈસા નહોતા. મે વિચાર્યું કે 5 રૂપિયામાં શું થશે? તેથી મે તેમને જેટલી શાકભાજીની જરૂર હતી તેટલી મફતમાં આપી દીધી. તે પછી મે નિર્ણય કર્યો કે જે લોકો શાકભાજી ખરીદી શકવાની સ્થિતિમાં નથી તેમને મફતમાં જ આપીશ.
હું છેલ્લા 3 દિવસમાં 100 જેટલા લોકોની મદદ કરી ચૂક્યો છું. હું અત્યારસુધી 2000 રૂપિયા સુધીની શાકભાજી મફતમાં આપી ચૂક્યો છું. હું ત્યાંસુધી આ કામ કરતો રહીશ જ્યાંસુધી મારી આર્થિક સ્થિતિ મને આમ કરવા મંજૂરી આપશે. હું એવું ઈચ્છું છું કે કોઈપણ વ્યક્તિ રાત્રે ભૂખ્યો ના રહે.’રાહુલ શહેરના ભાવસિંહપુરા વિસ્તારના આંબેડરપ ચોક ખાતે શાકભાજી વેચે છે.