નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દરેક સેક્ટરને અસર થઈ છે. જેમાંથી એક રિયલ એસ્ટેટ પણ છે. આમ તો રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા 2 વર્ષથી દબાણમાં છે. પરંતુ કોરોના સંકટ દરમિયાન ગ્રાહકો પાસે હવે સૌથી શ્રેષ્ઠ તક રહેલી છે. સંકટનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટની કોરાનાએ મુશ્કેલીઓ વધારી છે. જો તમે ઘર શોધી રહ્યાં હોવ તો આ સમય સૌથી સારો છે, આજના સમયમાં તમે ઘર ખરીદી ઘણી બચત કરી શકો છો. જોકે નિષ્ણાંતોના મતે પ્રોપર્ટીના ભાવમાં હજુ ઘટાડો નોંધાઈ શકે છે.
નિષ્ણાંતોના મતે પ્રથમવાર હોમ લોનના વ્યાજદર 7 ટકાથી નીચે છે. આ ઉપરાંત પ્રોપર્ટીની કિંમત પણ છેલ્લા 5 વર્ષના તળીયે છે. ઘર ખરીદનારાઓને સરકારની ટેક્સ બેનિફિટ સ્કીમનો પણ લાભ થઈ શકે છે. એનારૉક પ્રોપર્ટી કન્સલટન્ટ્સના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું કે,‘આમ તો ગ્રાહકો માટે કોરોના સંકટમાં સૌથી સારી તક રહેલી છે. જેમને આર્થિક સમસ્યા નથી અને તેઓ રોકાણ અર્થે અથવા રહેવા માટે ઘર લેવા માગતા હોય તો આ સમયે ખરીદી શકે છે.’
એનરૉકના મતે હાલ દેશના 7 મોટા શહેરોમાં 15.92 લાખ અંડર કન્સ્ટ્રક્શન ઘર છે. જે વહેલી તકે તૈયાર થઈ જશે. બિલ્ડરનું ફોક્સ તૈયાર ઘરોને વેચવા પર રહેશે. તાજેતરમાં એસબીઆઈના પ્રમુખે પણ કહ્યું હતું કે, બિલ્ડર તૈયાર ઘરોને વેચે પછી નવા પ્રોજેક્ટ પર ફોક્સ કરે.
અનુજ પુરીએ કહ્યું કે,‘ગ્રાહક અંડર કન્સ્ટ્રક્શનના બદલે તૈયાર ઘર ખરીદવાનું પસંદ કરે છે. લોકો કોરોના સંકટમાં રિસ્ક લેવા માગતા નથી. આ ઉપરાંત રેડી ટુ મુવ ઘર હાલ બની રહેલા ઘરોની સરખામણીએ ફાયદાનો સોદો પણ છે. કારણ કે બિલ્ડરો પૈસાની આવક ચાલુ રાખવા માટે તૈયાર ઘરને ડિસ્કાઉન્ટેડ રેટ પર વેચવા માટે પણ તૈયાર છે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રક્શન ઘરો ક્યારે તૈયાર થશે તે અંગે અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. કારણ કે મોટા શહેરોમાં હાલ મજૂરોની અછત જોવા મળી રહી છે.’ વાસ્તવમાં હાલ ઘર ખરીદવા પર ગ્રાહકોને ઘણા ફાયદા થઈ શકે છે. જેમકે હોમ લોન પર વ્યાજદર ઓછું છે અને બિલ્ડર વધુ ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે.
ગ્રાહકોને મળતા ફાયદા: ઘરની કિંમતો ઘટી રહી છે- સામાન્ય રીતે ઘર ખરીદવા માટેનો આ સમય શ્રેષ્ઠ હોવાનું કારણ એ છે કે હાલ ઘરની કિંમતો ઘટી રહી છે. હાલ છેલ્લા 5 વર્ષમાં ઘરની કિંમતો સૌથી ઓછી જોવા મળી રહી છે. જો ઘરની ડિમાન્ડ વધવા લાગશે તો પછી તેની કિંમત ફરી વધી જશે.
વ્યાજ દર- બેંકના વ્યાજ દર પણ હાલ ઘણા ઓછા છે, જેના કારણે ગ્રાહકોની ઈએમઆઈમાં ઘટાડો થશે. એસબીઆઈ દ્વારા 30 લાખ સુધીની હોમ લોન પર 7.35 થી 7.75 ટકા સુધીના વ્યાજ દરની ઓફર આપવામાં આવી રહી છે. જ્યારે એચડીએફસી વાર્ષિક 7.35-9.05 વ્યાજ દરે લોન આપી રહી છે.
ક્રેડિટ લિંક સબસિડી સ્કીમનો લાભ- પીએમ આવાસ યોજના હેઠળ માર્ચ 2021 સુધી ઘર ખરીદવા પર વ્યાજમાં સરકાર તરફથી 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આ સ્કીમ 31 માર્ચ 2020ના પૂર્ણ થઈ હતી, પરંતુ કોરોનાને કારણે આ સ્કીમનો સમય વધારીને 31 માર્ચ 2021 કરવામાં આવ્યો. ઘર ખરીદનારા લોકો માટે એક સારી તક છે. આ યોજનાને ક્રેડિટ લિંક સબસિડી સ્કીમનું નામ આપવામાં આવ્યું છે.
પ્રોપર્ટીમાં રોકાણ- હાલ પ્રોપર્ટીના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં રોકાણ એક વિકલ્પ બની શકે છે. આશા છે કે કોરોના સંકટ બાદ પ્રોપર્ટીમાં ફરી પહેલા જેવી તેજી આવશે. કારણ કે સરકારનું ફોકસ રિયલ એસ્ટેટ સેક્ટર પર શિફ્ટ થઈ શકે છે. છેલ્લા 4 વર્ષથી પ્રોપર્ટીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. તેથી પ્રોપર્ટીના રોકાણકારો માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ રહેશે. પરંતુ ઘર ખરીદતા અગાઉ તમામ પ્રકારની તપાસ કરી લો અને નિષ્ણાંતોની સલાહ બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવો.