લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નિગોહી પોલીસે અનોખી રીતે લગ્ન કરાવ્યા હતા. વાસ્તવમાં પતિના મોત બાદ પરિવારજનોની મંજૂરી બાદ પાંચ બાળકોની માતા દિયર સાથે રહેતી હતી જેને કારણે વિવાદ પેદા થયો હતો અને સમગ્ર વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
તમામ જાણકારી મેળવ્યા બાદ પોલીસે પોલીસ સ્ટેશનના પરિસરમાં લાગેલા વૃક્ષને મંડપ અને સેનિટાઝરને ગંગાજળ માની દિયર અને ભાભીના લગ્ન કરાવ્યા હતા. લોકડાઉનના નિયમોનું પાલન કરતા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. વિદાય પર આશીર્વાદના રૂપમાં 200 રૂપિયા દક્ષિણા આપવામાં આવી. બાદમાં ઇન્સ્પેક્ટરે કન્યા અને વરરાજાને પોતાની ગાડીમાં બેસાડી ઘર મુકી ગયા હતા. જેથી આ લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ખુટાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ધનવતીના લગભગ 20 વર્ષ અગાઉ નિગોહી પોલીસ સ્ટેશનના હમજાપુર ગામના નિવાસી રામકુમાર સાથે લગ્ન થયા હતા. ગયા વર્ષે રામકુમારનું બીમારીના કારણે નિધન થયું હતુ. પરિવારજનોના આગ્રહ પર ધનવતી પોતાના દિયર પ્રદીપ સાથે રહેવા લાગી પરંતુ થોડા મહિના બાદ બંન્ને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા.
અનેક મહિના સુધી એકબીજા સાથે વાત ના કરી. હોળી પર ગામમાં પંચાયત બેસી પરંતુ ઉકેલ આવ્યો નહી. હવે ધનવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્દ્રજીત ભદૌરિયાએ પ્રદીપ સહિત પરિવારજનોને બોલાવ્યા.
ત્યાર બાદ સમજાવીને બંન્નેના લગ્ન કરાવી દીધા હતા. ભદૌરિયાએ કહ્યું કે કોરોના વાયરસના લોકડાઉનના કારણે લગ્ન થઇ શકતા નહોતા. મહિલા સામે આર્થિક સંકટ પણ હતુ. બંન્ને પક્ષ રાજી હતા જેથી પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવી દીધા. આ લગ્નથી ધનવતીના પાંચ બાળકો કાજલ, શિવમ, સરિતા, સત્યમ અને શીતલને સહારો મળી ગયો હતો.