મંગળવારનો દિવસ સંજય દત્તના ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યો હતો. સંજય દત્ત છેલ્લા એક-બે દિવસથી સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ, મંગળવારે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી કે તે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યો છે. આ સાંભળીને તેના ફેન્સનાં હાલ બેહાલ થઈ ગયા હતા. આ જાહેરાતના થોડા સમય પછી જ સમાચાર આવ્યા કે સંજય દત્ત ફેફસાના કેન્સર સામે લડી રહ્યા છે.
સંજયના ચાહકો માટે આજના દિવસથી ખરાબ બીજો કયો દિવસ હોઈ શકે. સંજયને સારવાર માટે તાત્કાલિક યુએસએ જવું પડશે. જો કે સંજય દત્ત એકમાત્ર અભિનેતા નથી જે કેન્સર જેવા રોગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે આ રોગ સામે લડી તેને માત આપી અને હવે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
લીસા રે
બોલિવૂડ અભિનેત્રી લીસા રેએ 2001 માં ફિલ્મ ‘કસુર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. લિસાએ આ ફિલ્મથી ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. પરંતુ વર્ષ 2009 માં લિસા રેને ‘મલ્ટીપલ માઈલોમા’ નામના કેન્સરનું નિદાન થયું. તે એક દુર્લભ કેન્સર છે જે લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે. 2010 માં, લિસાએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ અને આ કેન્સર સામેની લડાઇમાં જીત મેળવી. પરંતુ આજે પણ, તેની સારવાર ચાલુ છે, અને તે ફક્ત જ્યૂસ, સ્મૂધીસ અને શાકભાજી જ ખાય છે.
સોનાલી બેન્દ્રે
અભિનેત્રી સોનાલી બેન્દ્રેને વર્ષ 2019 માં હાઈ ગ્રેડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સોનાલીએ પોતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. આ પોસ્ટ પછી સોનાલીના ચાહકો નિરાશ થયા હતા. જે બાદ તેની સારવાર ન્યૂયોર્કમાં થઈ અને કેન્સર સામેની લડાઇમાં જીત મેળવી.
તાહિરા કશ્યપ
કેન્સર સામે લડતા સેલિબ્રિટીમાં બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરનાની પત્ની તાહિરા કશ્યપનો સમાવેશ છે. સામાન્ય રીતે જ્યાં લોકો રોગને છુપાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તાહિરાએ તેના કેન્સર સર્જરીથી માંડીને બાલ્ડ લુક સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તાહિરાએ ખૂબ જ ઉત્સાહ અને હિંમત સાથે કેન્સર સામે લડાઈ લડી અને જીત પણ મેળવી. જણાવી દઈએ કે તાહિરાને બ્રેસ્ટ કેન્સર હતું.
મનીષા કોઈરાલા
બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલાને 2012 માં અંડાશયનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ પછી મનીષાને લગભગ 6 મહિના સુધી યુ.એસ. માં સારવાર આપવામાં આવી. મનીષાએ પોતાની ઇચ્છા અને હિંમતના બળ ઉપર કેન્સરના રોગની સામેની જંગ જીતી લીધી. કેન્સર સામે લડ્યા પછી મનીષાએ એક પુસ્તક પણ લખ્યું જેમાં તેણે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું. આ પુસ્તકનું નામ છે ‘Healed: How Cancer Gave Me A New Life’.
અનુરાગ બાસુ
બોલિવૂડના લોકપ્રિય નિર્માતા નિર્દેશક અનુરાગ બાસુ પણ કેન્સરના દર્દી છે, તેમને લ્યુકેમિયા કેન્સર હતું. આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. 2004 માં, અનુરાગ ફિલ્મ ‘તુમ્સા નહીં દેખા’નું નિર્દેશન કરી રહ્યા હતા, જ્યારે તેમને આ રોગ વિશે ખબર પડી. પરંતુ તેમણે કેન્સર સામેની લડત જીતી લીધી હતી .તેમની સારવાર દરમિયાન તેમણે ‘ગેંગસ્ટર’ અને ‘લાઇફ ઇન એ મેટ્રો’ની સ્ક્રિપ્ટો પણ લખી હતી.