લંડનમાં પટેલ મહિલાએ કોરોના વોર્ડમાં પતિ સુધી પહોંચાડ્યું પવિત્ર જળ, જેથી જીવ બચાવી શકે
લંડનઃ બ્રિટનમાં રહેતી કાનન પટેલે કોરોના વાઈરસથી બીમાર પોતાના પતિને બચાવવા તમામ પ્રયાસો કર્યા પણ તેને સફળતા મળી નહીં. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળવા માટે તેમના પરિવારજનોને પણ મંજૂરી નથી મળતી ત્યાં કાનને નર્સ થકી પતિ જયેશ પટેલના હોઠ પર પવિત્ર જળનો છંટકાવ કરાવ્યો અને પતિના બેડ પાસે ગણેશજીની નાની મૂર્તિ પણ મુકાવડાવી હતી.
કાનન પટેલે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, તેના પતિ કોમ્યુનિટી ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા હતા. કાનનને એ વાતનો અફસોસ છે કે પતિના હોસ્પિટલમાં દાખલ થયા બાદ તે તેમને મૃત્યુ પહેલાની અંતિમ ક્ષણોમાં મળી શકી નહીં. ઘણા દિવસ સુધી ઘરે બીમાર હોવાના કારણે તેના પતિની તબિયત લથડી હતી. તેમના હાડકા દેખાવવા લાગ્યા હતા. તે ગ્લાસ વડે પાણી પણ નહોતા પી શકતા અને ચમચી વાપરવી પડતી હતી. કાનને કહ્યું કે, તેમના પતિ લોકોને દવા આપતા સમયે જ સંક્રમિત થયા હશે.
અંતિમ સમયમાં કાનને પતિ સાથે ફોન પર વાત કરતા પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. જે પછી જ ડૉક્ટર્સે તેના પતિને વેન્ટિલેટર પર શિફ્ટ કર્યો હતો. પરંતુ તેમની સ્થિતિ સુધરી નહીં. જે પછી પત્નીએ નર્સ સાથે હોસ્પિટલની કાર પાર્કિંગમાં મુલાકાત કર અને પતિ જયેશના હોઠ પર પવિત્ર જળનો છંટકાવ કરવા અપીલ કરી હતી. બીજા દિવસે તે જ નર્સે કાનનને ફોન કરી જાણ કરી કે જયેશનું નિધન થયું છે.
નર્સે જણાવ્યું કે, તેણે કાનને કહ્યું તેમ પવિત્ર જળનો છંટકાવ જયેશના હોઠ પર કર્યો હતો. કાનને કહ્યું કે,‘મે એક રીતે આમ તેમને અંતિમ વિદાય આપી.’