મુંબઈઃ રાજેશ ખન્નાને બૉલિવૂડના પહેલાં સુપરસ્ટાર કહેવામાં આવે છે. રાજેશ ખન્નાએ સતત 15 હિટ ફિલ્મો આપી હતી જેનો રેકોર્ડ આજ સુધી બૉલિવૂડમાં કોઈ તોડી શક્યું નથી. તે સમયે રાજેશ ખન્નાને લઈ લોકોમાં જે દિવાનગી હતી, તે ભાગ્યે જ બૉલિવૂડમાં કોઈ એક્ટરને મળી હશે. રાજેશ ખન્નાની એક ઝલક માટે લોકો પડાપડી કરતાં હતાં પણ, એવું કહેવાય છે કે, જયા બચ્ચનની એક હાયને લીધે રાજેશ ખન્નાનું કરિયર પૂરું થઈ ગયું હતું અને તેમનું સ્ટારડમ પણ રહ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, રાજેશ ખન્નાની 18 જુલાઈએ પુણ્યતિથિ હતી.
તે સમયે રાજેશ ખન્ના અને જયા બચ્ચન ફિલ્મ ‘બાવર્ચી’નું શૂટિંગ કરી રહ્યા હતાં. તે સમયે અમિતાભ અને જયાનું અફેર ચાલી રહ્યું હતું. જોકે, અમિતાભ તે દિવસોમાં એક સામાન્ય એક્ટર તરીકે ઓળખાતા હતા. રાજેશ ખન્ના સામે તેમની કોઈ ગણતરી જ નહોતી.
કહેવામાં આવે છે કે, શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના અફેર અંગે રાજેશ ખન્નાએ ખૂબ જ આડું-અવળું કહ્યું હતું. રાજેશ ખન્ના ઘણીવાર જયાની સામે અમિતાભ બચ્ચનની મજાક ઉડાવતા હતાં. આ વાત જયાથી સહન થતી નહોતી અને એક દિવસ જયાને ખૂબ જ ગુસ્સો આવી ગયો.
રાજેશ ખન્નાની વાત સાંભળી દુખી થઈ જયા બચ્ચને કહ્યું કે, ‘એક દિવસ જમાનો જોશે કે, (અમિતાભ બચ્ચન) ક્યાં હશે અને તમે ક્યાં હશો.’
ફિલ્મ ‘બાવર્ચી’ પછી આગલા વર્ષે ફિલ્મ ‘નમક હરામ’ રિલીઝ થઈ જેમાં રાજેશ ખન્ના અને રેખા જેવા મોટાં કલાકારો વચ્ચે અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતાં
પરંતુ આ સુપરસ્ટાર વચ્ચે અમિતાભ બચ્ચનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. અહીંથી જ રાજેશ ખન્નાએ માની લીધું કે, તેમના દિવસ હવે પૂરાં થઈ ગયાં છે અને હવે નવાં સુપરસ્ટારનો વારો છે.