Only Gujarat

Bollywood

જ્યારે ઐશ્વર્યા રાયે જાહેરમાં સ્વીકાર્યું હતું, હા, સલમાન ખાને મને માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી

મુંબઈઃ આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો 54મો જન્મદિવસ છે. સલમાન ખાનની વાત એટલે ચાહકોને તરત જ ઐશ્વર્યા રાયના સંબંધો યાદ આવી જાય તે સ્વાભાવિક છે. એક સમય હતો જ્યારે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ગળાડૂબ પ્રેમમં હતાં. જોકે, પછીથી એશે આ સંબંધનો અંત લાવી દીધો હતો. ઐશ્વર્યા હાલમાં તો પતિ અભિષેક બચ્ચન તથા દીકરી આરાધ્યા સાથે સુખેથી જીવે છે. ઐશ્વર્યાએ સલમાનને લઈને ઈન્ટરવ્યૂમાં વાત પણ કરી હતી.

કેવી રીતે સલમાન-એશના સંબંધો શરૂ થયા?
1997માં સલમાન તથા ઐશ્વર્યાની લવ સ્ટોરી શરૂ થઈ. આ સમયે સલમાનના સંબંધો સોમી અલી સાથે હતાં. બંને લગ્ન કરે તેવી ચર્ચા હતી. જોકે, 1999માં સોમી અલીને ખ્યાલ આવ્યો કે સલમાન-એશ એકબીજાના પ્રેમમાં છે. આ સમયે સલમાન-એશ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં. સોમી અલી પછી અમેરિકા જઈને વસી ગઈ હતી. આ બાજુ સલમાન તથા ઐશ્વર્યા એકબીજાની વધુ નિકટ આવી ગયા. એશના સલમાનની બહેનો અલવીરા તથા અર્પિતા સાથે ગાઢ સંબંધો બન્યાં હતાં. લેખક બિશ્વાદિપ ઘોષે પોતાના પુસ્તક ‘હોલ ઓફ ફૅમ ઐશ્વર્યા રાય’માં દાવો કર્યો છે કે એક્ટ્રેસે માતા-પિતાની વિરુદ્ધમાં જઈને સલમાન સાથે સંબંધો રાખ્યાં હતાં. તે પેરેન્ટ્સથી અલગ થઈ ગઈ હતી મુંબઈ વેસ્ટમાં અંધેરી ખાતે લોખંડવાલામાં ગોરખ હિલ ટાવરમાં 17માં માળે રહેતી હતી.

સલમાને તમાશો કર્યો હતોઃ
વર્ષ 2001માં સલમાન તથા ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. 2001માં નવેમ્બરમાં સલમાન ખાન એક્ટ્રેસ એશના ઘરે જઈને જોર-જોરથી દરવાજો ખખડાવતો હતો. આસપાસના પડોશીઓએ કરેલા દાવા પ્રમાણે, 17માં માળ પર આવેલા ઐશ્વર્યના ઘરની બહાર સલમાન બૂમો પાડતો હતો અને તેણે ધમકી આપી હતી કે જો એશ ઘરનો દરવાજો ખોલીને તેને અંદર નહીં બોલાવે તો તે અહીંથી કૂદીને જાન આપી દેશે. ત્રણ વાગ્યા સુધી સલમાને આ રીતે દરવાજો પછાડ્યો હતો અને તેને કારણે તેના હાથમાં લોહી નીકળવા લાગ્યું હતું. જોકે, સલમાનના ડરથી આસપાસના લોકોએ પોલીસને બોલાવી નહોતી અને વચ્ચે પડ્યાં હતાં. રાત્રના ત્રણ વાગ્યા પછી એશે દરવાજો ખોલ્યો અને એક્ટરને અંદર બોલાવ્યો હતો. સૂત્રોના મતે, લગ્નને લઈ સલમાન ખાન એક્ટ્રેસ પાસેથી વચન લેવા માગતો હતો અને એશની કરિયર ટોચ પર હોવાથી તે લગ્ન કરવા તૈયાર નહોતી. 12 ફેબ્રુઆરી, 2002માં સલમાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ રીતે તે એશના ઘરની બહાર ઊભો રહ્યો હતો અને તમાશો કર્યો હતો પરંતુ જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય ત્યારે આમ થવું સામાન્ય હોય છે. કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિ સાથે ઝઘડો કરશે નહીં. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એશના પિતા ક્રિષ્નારાજ રાયે પોલીસ ફરિયાદ કરી હતી. આ અંગે સલમાને કહ્યું હતું કે એશના માતા-પિતા સારા છે અને તેનો પરિવાર પણ તેના પરિવારની જેમ જ જૂનવાણી છે. એશના પેરેન્ટ્સને તેના (સલમાનના) જૂના અફેર્સ અંગે ખબર હતી અને તે તેમને ના ગમે એ સ્વાભાવિક છે. તેમાં તેનો વાંક છે, તેના પેરેન્ટ્સનોનહીં. તેમની સાથે તેણે ખરાબ વર્તન કર્યું હોવા છતાંય તેના પેરેન્ટ્સે તેને મળવાની ક્યારેય ના પાડી નથી. તેના પિતાએ ફરિયાદ કરી તેની સામે તેને કોઈ વાંધો નથી અને ફરિયાદ નથી.

ભાંગેલા હાથ સાથે એશ એવોર્ડ ફંક્શનમાં હાજર રહી
સલમાન ખાન ખાનગી રીતે અમેરિકા મળવા ગયો હતો. સ્ટારડસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોમી અલીએ સલમાનને પિતાના ઓપરેશન માટે મદદ માગી હતી. સલમાન તરત જ અમેરિકા ગયો હતો પરંતુ તેણે ઐશ્વર્યાને આ વાત કહી નહોતી. એશ આ વાતથી રોષે ભરાઈ હતી પરંતુ સલમાને તેને મનાવી લીધી હતી. 2002માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યાનાં હાથ પર પ્લાસ્ટર હતું અને ગોગલ્સ પહેર્યાં હતાં. તેને કારણે ચર્ચા થવા લાગી કે સલમાને એશને માર માર્યો છે. ‘કુછ ના કહો’ના સેટ પર સલમાને એશની કારને નુકસાન પણ પહોંચાડ્યું હતું. જોકે, મે, 2002માં ઐશ્વર્યાએ સ્પષ્ટતા કરી હતી કે કેમ લોકો તેની પર વિશ્વાસ કરતાં નથી, તે સીડી પરથી પડી ગઈ હતી.

અંતે, ઐશ્વર્યાએ સ્વીકાર્યું, સલમાને તેને માર માર્યો હતો
27 સપ્ટેમ્બર, 2002માં ઐશ્વર્યાએ પહેલી જ વાર સલમાન સાથેના સંબંધો પર વાત કરી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું, સલમાન અને તેના સંબંધોનો અંત માર્ચ, 2002માં જ આવી ગયો હતો પરંતુ તે બ્રેક અપ બાદની પરિસ્થિતિ સંભાળી શક્યો નહોતો. તે હજી પણ ફોન કરે છે અને બકવાસ વાતો કરે છે. તેને લાગે છે કે તેના કો-સ્ટાર્સ સાથે અફેર્સ છે. તે તેનું નામ દરેક એક્ટર્સ સાથે જોડી રહ્યો છે. અભિષેક બચ્ચનથી લઈ શાહરુખ ખાન સાથે તેનું નામ જોડ્યું છે. એક સમયે સલમાને તેને માર હતી પરંતુ તેના સદનસીબ કે મારના કોઈ નિશાન રહ્યાં નહીં. માર ખાધા બાદ જાણે કંઈ જ ના બન્યું હોય તે રીતે તે સેટ પર જઈને શૂટિંગ કરતી હતી. સલમાન સતત તેની પાછળ ફરતો હતો અને જ્યારે તેણે સલમાનને ફોન કરવાની ના પાડી ત્યારે તેણે પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. અન્ય એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે સલમાન જ્યારે દારૂના નશામાં ચકચૂર રહેતો ત્યારે તેની સાથે હતી અને તેને મદદ કરી હતી. જોકે, બદલામાં તેને માત્ર ગાળો, માર પડ્યો હતો. અન્ય મહિલાની જેમ તેને પણ તેનું આત્મસન્માન વ્હાલું છે અને તેથી જ તેણે સલમાન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. ચર્ચા છે કે ઐશ્વર્યાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો એના બીજા જ દિવસે સલમાન ખાને પોતાની ટોયટો લેન્ડ ક્રૂઝર કાર ફૂટપાથ ચઢાવી દીધી હતી અને તેમાં એકનું મોત થયું હતું.

સલમાને માર માર્યો હોવાની વાતનો ઈનકાર કર્યો
ઐશ્વર્યાએ આપેલા ઈન્ટરવ્યૂના થોડાં મહિનાઓ બાદ સલમાને મીડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે વ્યક્તિ દુઃખી હોય ત્યારે કવિતા તો ના જ ગાય તે સ્વાભાવિક છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે દુઃખ વ્યક્ત કરે છે. 18 સપ્ટેમ્બર, 2002ને મીડ ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે તેણે ક્યારેય એશ કે અન્ય કોઈ પર હાથ ઉપાડ્યો નથી. જો તેણે સેટ પર આમ કર્યું હોય તો લોકો તેને કાઢી મૂકે. તે ઈમોશનલ થયો હતો અને પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. તેણે દિવાલ સાથે માથું અથડાવ્યું છે અને બીજું ઘણું કર્યું છે પરંતુ તે ક્યારેય કોઈને હર્ટ કરી શકે નહીં. તેણે માત્ર સુભાષ ઘાઈ પર હાથ ઉપાડ્યો હતો અને બીજા દિવસે માફી માગી લીધી હતી. ઘણીવાર તમે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાવ છો. તે વ્યક્તિએ તેને ચમચીથી માર્યો હતો અને તેના મોં આગળ પ્લેટ તોડી હતી અને તેને ગળામાંથી પકડ્યો હતો અને તેના શૂઝ પગથી દબાવ્યાં હતાં અને તે પોતાની જાત પર કંટ્રોલ ના રાખી શક્યો અને બધું થયું. જોકે, તેણે બીજા દિવસે માફી માગી હતી.

ઐશ્વર્યાએ ક્યારેય સલમાન સાથે કામ ના કરવાના સોગંદ લીધા
એશના ઈન્ટરવ્યૂ બાદ સલમાને ‘ચલતે ચલતે’ના સેટ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મનો પ્રોડ્યૂસર શાહરુખ ખાન હતો અને સેટ પર કિંગ ખાને સલમાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સલમાને શાહરુખનો કોલર પકડી લીધો હતો. બિશ્વાદિપ ઘોષના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાને શાહરુખ પર આરોપ મૂક્યો હતો કે તેના સંબંધો એશ સાથે છે અને આ ફિલ્મમાં એશને બદલે રાની મુખર્જી આવી ગઈ હતી. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં રાની તથા સલમાનને લેવા માગતા હતાં પરંતુ રાનીએ ફિલ્મમાં સલમાનને કારણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. પછી ઐશ્વર્યાએ પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે પરિવાર, શુભેચ્છકોના આત્મસન્માનને કારણે હવે તે ક્યારેય મિસ્ટર સલમાન ખાન સાથે કામ કરશે નહીં. સલમાન ખાનનું ચેપ્ટર તેના જીવનનું સૌથી ખરાબ તબક્કો હતો. હવે તે પૂરું થઈ ગયું છે.

You cannot copy content of this page