શ્વાસ છોડ્યાંના કલાક બાદ પણ હવામાં તરતા હોય છે કોરોનાવાઈરસ, વૈજ્ઞાનિકોનો નવો જ દાવો
લંડનઃ બ્રિટનની ઈમ્પેરિયલ કોલેજ લંડનની પ્રોફેસર વેન્ડી બાર્કલીએ કહ્યું કે, શ્વાસ છોડ્યાના એક કલાક બાદ પણ કોરોના વાઈરસ હવામાં રહી શકે છે. પ્રોફેસર બાર્કલીએ કહ્યું કે, આ વાતના સતત પુરાવા મળી રહ્યાં છે કે કોરોના વાઈરસ ના માત્ર કોઈ સામાનની જેમ ફેલાઈ શકે છે પરંતુ હવાથી પણ સંક્રમિત થવાની શક્યતા રહેલી છે.
બીબીસીના શોમાં પ્રોફેસર વેન્ડી બાર્કલીએ જણાવ્યું કે, ‘આપણે ચોક્કસ જાણીએ છીએ કે કોરોના વાઈરસના ઘણા નાના ડ્રૉપલેટમાં પણ સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રહેલી છે. આ કારણે જ આશંકા રહેલી છે કે લોકો હવાના કારણે પણ સંક્રમિત થઈ શકે છે.’
ઈમ્પેરિયલ કોલેજ લંડનની પ્રોફેસરે જણાવ્યું કે, લેબમાં કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાઈરસ હવામાં એક કલાકથી વધુ સમય સુધી રહી શકે છે. આ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ હવાથી કોરોના ફેલાતો હોવાની થિયરીને ફગાવી ના શકાય તેમ જણાવ્યું હતું. જોકે WHO એમ પણ કહે છે કે, કોરોના સામાન્ય રીતે નાક અને મોઢામાંથી બહાર આવતા વાઈરસના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે.
માત્ર છીંક કે કફથી જ નહીં પરંતુ સંક્રમિત વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન પણ વાઈરસ બહાર આવી શકે છે. જોકે બંધ સ્થળોએ જ્યાં હવાની અવર-જવર વધુ નથી હોતી ત્યાં કોરોના ફેલાવવાનું જોખમ ઘણું વધી જાય છે. અમુક નિષ્ણાંતોના મતે રૂમમાં કોરોના સંક્રમિત વ્યક્તિ હોય અને એસી ચાલુ કરવામાં આવે તો પણ કોરોના થઈ શકે છે.