આપણા સમાજમાં કેટલાય પરિવારોમાં સાસુ-વહુ વચ્ચે અણબનાવ અને નાના-મોટા ઝઘડાના બનાવ બનતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સાંભળતા જ કંપારી છૂટી જાય તેવો એક બનાવ બન્યો છે. જેમાં દરરોજના ઝઘડાથી તંગ આવી ગયેલી નવપરિણીતાએ સાસુના માથામાં લોખંડનો સળિયો મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે ચોંકાવનારી વાત એ છે કે ચાલાક સગર્ભા પુત્રવધુએ સાસુની હત્યા અંગે પતિને અઢી કલાક, પોલીસને નવ કલાક સુધી ઊંધા રવાડે ચડાવ્યાં. તેના કારણે એક સમયે પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ કે હત્યા કોણે કરી? જો કે હત્યાનું પાપ છાનું ન રહ્યું અને પોલીસે પુત્રવધુને હત્યાના આરોપસર જેલ હવાલે કરી.
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે જેણે ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામાં એક વહુએ સાસુને મોતને ઘાટ ઉતારી છે. વહુએ સાસુને એવી રીતે મારી કે આખા ઘરમાં લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. સાસુ અને વહુને બનતું નહીં અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. જો કે મંગળવારે બંને વચ્ચે જે ઝઘડો થયો તે સામાન્ય ન રહ્યો અને લોહિયાળ સાબિત થયો. સાસુ રેખાબેનને પુત્રવધૂ અને સસરા વચ્ચે આડાસંબંધની શંકા હતી. એટલું જ નહીં નિકિતાના પેટમાં રહેલો બે મહિનાનો ગર્ભ પુત્રનો નહીં, પરંતુ સસરાનો હોવાની પણ શંકા હતી. જેના આધારે સાસુ પોતાની વહુને શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન-પરેશાન કરતી હતી.પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે સસરા દિપકભાઈએ નિકિતાને મોબાઈલમાં મેસેજ મોકલીને લખ્યું હતું કે ‘તુ અભી દીપક સે દૂર રહેના’
જો આ ઘટનાને વધુ વિગતે જોઈએ તો ગોતામાં આવેલા રોયલ હોમ્સના ડી બ્લોકમાં રહેતા ત્રીસ વર્ષીય દીપક અગ્રવાલ આ જ વિસ્તારમાં ભાગીદારીમાં માર્બલ તથા ગ્રેનાઈટનો વ્યવસાય કરે છે. તેમના ઘરમાં તેમના પિતા રામનિવાસ તથા માતા રેખાબહેન પણ તેમની સાથે રહે છે. દીપકના લગ્ન ગત 16મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનના બ્યાવર ખાતે રહેતા સુરેશચંદ્ર તારાચંદ અગ્રવાલની 29 વર્ષીય પુત્રી નિકીતા ઉર્ફે નાયરા સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદથી જ તેમની પત્ની નિકીતા તથા માતા રેખાબહેન વચ્ચે સતત અણબનાવ તથા ઝઘડા થતાં હતાં.
મંગળવારના રોજ ઘરમાં વોશિંગ મશીન બગડ્યું હોવાથી તે રિપેર કરાવી જમીને દીપકભાઈ પોતાની ઓફિસે ગયા હતાં. રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેઓ ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. બીજી તરફ તેમના પિતા રામનિવાસ જે હાલમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે તેમણે પુત્રને ફોન કર્યો હતો. પિતાએ દીપકને જણાવ્યું હતું કે આપણી સોસાયટીમાંથી ફોન આવ્યો છે કે તારી મમ્મી અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો છે અને સોસાયટીવાળા પોલીસ બોલાવે છે, તો તું જલદી ઘરે જા.
દીપકભાઈએ તુરત જ માતાને ફોન કરતાં તેની પત્ની નિકીતાએ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે મમ્મીજી મને મારે છે, અમારા વચ્ચે મારામારી થઈ છે અને હું મારા રૂમમાં આવી ગઈ છું. આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તે ફોન રિસીવ કરતી ન હોવાથી તેના મોબાઈલ ઉપર પણ દીપકભાઈએ ફોન કર્યો પણ તેણે રિસીવ ન કર્યો. ત્યારબાદ દીપકભાઈ તુરત જ ઘરે પહોંચી ગયા હતાં. જો કે ઘરનો દરવાજો બંધ હોવાથી તેમણે અનેકવાર ડોરબેલ વગાડ્યો હતો. પરંતુ દરવાજો કોઈએ ન ખોલતા તેમણે સીડીની મદદથી બારી મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
દીપકભાઇ ઘરમાં પ્રવેશી લાઈટ ચાલુ કરતાં જ ઘરના એક બેડરૂમમાં તેમની માતા રેખાબહેનનો લોહીથી લથબથ અને અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ જોઈ તેઓ હેબતાઈ ગયા હતાં. બાજુના બેડરૂમના દરવાજાને ધક્કો મારતા તે તુરત જ ખુલી ગયો હતો. જ્યાં તેમની પત્ની નિકીતા હતી. દરવાજો તો ખુલ્લો છે તેમ કહેતા નિકીતાએ મારા શરીરમાં વિકનેસ છે તેમ જણાવ્યું હતું અને મમ્મીને શું થયું છે તેમ પૂછતાં મેં નથી માર્યા તેટલું કહ્યાં પછી કોઈ જવાબ આપતી ન હતી. તેમણે તેમની માતા પાસે પરત ફરી જોતા તેમના માથા પાસે લોખંડનો સળિયો પડ્યો હોવાનો તથા દીવાલ ઉપર પણ લોહીના છાંટા હોવાનું જણાયું હતું. પોલીસને પણ નિકિતાએ ગોળગોળ જવાબ આપ્યો હતો. પોલીસને CCTVની તપાસ કરી તો ઘરમાં કોઈ અંદર જતું દેખાયું નહોતું. અંતે નિકિતાએ જ હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરી.
નિકીતાએ એમ.કોમ ઉપરાંત એમબીએ (ફાઈનાન્સ) સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા જ નિકીતા ગર્ભવતી હોવાની જાણ ત્રણ દિવસ અગાઉ જ થઈ હતી. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે નિકીતાનું આવનારું બાળક જેલમાં જન્મશે! પાડોશીઓએ કહ્યું કે, રેખાબહેનના ઘરે રોજે તકરાર થતી હતી. નિકિતાને કોઈએ રૂપરૂમાં જોઈ પણ ન હતી. નવરાત્રિ દરમિયાન સસરાએ પણ નિકિતાને બારીમાં ઊભા રહેવા બદલ માર માર્યો હતો. થોડા સમય અગાઉ નિકિતાએ એક પાડોશીને કહ્યું હતું કે, તેની સાસુ તેની પાસેથી દહેજની અવારનવાર માગણી કરે છે. અન્ય એક પાડોશીએ કહ્યું કે, રેખાબહેન રોજ તેની પુત્રવધૂ નિકિતાને દરરોજ માર મારતા હતા અને માર સહન ન થતાં નિકિતા ચીસો પાડતી હતી.