Only Gujarat

TOP STORIES

અમદાવાદના આ વિસ્તારે સરકારની વધારી ચિંતા, ચીનનું વુહાન તો નહીં બને ને?

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ કોરોનાના ભરડામાં આવી ચૂક્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 4 હજારને પહોંચવા આવી છે. 200થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લઈ લીધો છે. રેડ ઝોન એવા અમદાવાદનો એક વિસ્તાર એવો છે, જ્યાં નોંધાયેલા કેસની સંખ્યા દેશના 28 રાજ્યોમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસ કરતા પણ વધારે છે. આ વોર્ડમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, અમદાવાદ આખામાં મળીને કોરોનાના કારણે જેટલા મૃત્યુ થયા છે, તેમાંથી 33 ટકા કેસ માત્ર આ એક જ વિસ્તારના છે. આ વિસ્તાર છે અમદાવાદનો જમાલપુર વોર્ડ.

જૂના અમદાવાદમાં આવેલા જમાલપુર વોર્ડમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 674 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે આખા અમદાવાદમાં નોંધાયેલા કેસના 20 ટકા જેટલા છે. જ્યારે અમદાવાદમાં કુલ 200થી વધુ મૃત્યુ કોરોનાના કારણે થયા છે, જેમાંથી લગભગ ત્રીજા ભાગના એટલે કે 61 દર્દીઓ તો માત્ર જમાલપુર વિસ્તારના છે. બે લૉકડાઉન પૂર્ણ થયા અને ત્રીજું લૉકડાઉન લાગૂ થયું પરંતુ જમાલપુરમાં કોરોનાના કેસ ઓછા નથી થઈ રહ્યા.

કોરોનાના કેસને વધતા અટકાવવા માટે શહેરના કોટ વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન પણ જાહેર કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકોની અવર-જવર પર પણ રોક લગાવવામાં આવી હતી. જોકે, આ તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં જમાલપુર વોર્ડમાં કેસ સતત વધી રહ્યા છે. આ આંકડા ચોંકાવનારા એટલે છે કે, જમાલપુરમાં કોરોનાના કારણે જેટલા મૃત્યુ થયા છે, તે દેશના 28 રાજ્યોના કુલ મૃત્યુઆંક કરતા પણ વધારે છે.

જમાલપુરમાં કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તંત્ર પણ કામે લાગી ગયું છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર પણ વધતા જતા કેસની સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. વિજય નહેરાએ જમાલપુર વિસ્તારના લોકોને કોરોના સામેની લડાઈમાં સાથ આપીને લૉકડાઉનનું ચુસ્ત પાલન કરવાની પણ અપીલ કરી છે. જમાલપુરના દર્દીને નજીકમાં જ કોરોનાની સારવાર મળી રહે તે માટે કોવિડ હેલ્થ સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. સાથે જ વોર્ડ પર દેખરેખ રાખવા માટે અનુભવી અધિકારીઓની પણ નિમણુંક કરી છે. જેઓ કોરોના પર કાબૂ કરવાના તમામ પગલાં લેશે.

દેશમાં કોરોનાના કહેર સામે લડવા માટે પહેલા અને બીજા પછી હવે ત્રીજું લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ સહિત છ શહેરોનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના ચાર હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે 234 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 43 હજાર 500ને પાર પહોંચ્યો છે જ્યારે 1401 લોકોના મૃત્યુ થયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page