બિલાસપુર(છતીસગઢ): બિલાસપુર જિલ્લાના ખૂંટાઘાટના વેસ્ટવિયર ઓવરફ્લો નદીની વચ્ચે 14 કલાકથી ફસાયેલા 43 વર્ષિય જિતેન્દ્ર કશ્યપને સોમવારે બચાવી લેવાયો. ઇન્ડિયન એર ફોર્સના જવાનોએ તેમને દોરડાના સહારે ખેંચીને રેસ્ક્યૂ ઓપરેશન કર્યું. તેમને આશા ન હતી કે, આ સ્થિતિમાં તેમનો બચાવ થશે. હાલ તે રાયપુરના રામકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, “હેલિકોપ્ટરમાં બેસીને ખૂબ જ મજા પડી ગઇ, સાચે આજે તો મોજ આવી ગઇ”
આ ભંયકર સ્થિતિમાં ગિધૌરી ગામમાં રહેતા જિતેન્દ્રને આશા ન હતી કે, તે આવનાર સવારને જોઇ શકશે અને તેમની ચર્ચા રાષ્ટ્રીય સ્તરની ન્યૂઝ ચેનલોમા થશે. રવિવાર સાંજે તે ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઇ ગયો હતો. તેમણે વૃક્ષની એક ડાળીના સહારે રાત પસાર કરી હતી. જો કે જિલ્લા પ્રશાસન આખી રાત તેમને બચાવવાની કોશિશ કરતું રહ્યું.
સોમવાર સવારે જ્યારે તે સલામત રીતે બહાર આવી ગયો, તો દૈનિક ભાસ્કરના રિપોર્ટરે તેમની સાથે વાત કરી હતી. આ સમયે તેમણે ધસમસતા પાણીમાં કૂદવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “હું હંમેશા બીમાર રહેતો હોવાથી આ મુદ્દે પત્ની સાથે વિવાદ થઇ ગયો હતો. બીમારીના કારણે છેલ્લા 5 વર્ષથી હું કોઇ કામ નથી કરતો. આ કારણે બંને વચ્ચે ઝઘડા થતાં હતા, આ કારણે ગુસ્સામાં નદીમાં કૂદી ગયો હતો”
યુવકે આપવિતી કહેતા જણાવ્યું કે, “જ્યારે કૂદ્યો તો એક પથ્થરના સહારે હતો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઝાડની ડાળખીને પકડીને આખી રાત બેસી રહ્યો. જો કે જ્યારે પાણીનો વેગીલો પ્રવાહ આવતો હતો તો ખૂબ ડર લાગતો હતો. તેમણે જણાવ્યું કે, પાણીમાં કૂદ્યા બાદ મહેસૂસ થયું કે, ગુસ્સામાં લીધેલા પગલા કેટલા ઘાતક હોય છે”
યુવકે જણાવ્યું કે, તે ગુસ્સામાં કૂદી ગયો હતો. જો કે જ્યારે ચારેબાજુ પાણી પાણી જ જોયું તો તે ડરી ગયો. બૂમો પણ પાડી. આજુબાજુ લોકોની ભીડ એકઠી થઇ ગઇ. લોકોએ પોલીસને પણ ઘટનાની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. વાયુસેનાના જવાનોએ મારો જીવ બચાવ્યો. જે હું જિંદગીભર નહીં ભૂલું.
આ તસવીર કાલ સવારની છે. જ્યારે વાયુસેનાના જવાનોએ યુવકને હેલિકોપ્ટર દ્વારા ધસમસતા નદીના વેગીલા પ્રવાહમાંથી બહાર કાઢ્યો હતો.