Only Gujarat

FEATURED National

આ દીકરીએ માતાના જીવનમાં કર્યું એવું કામ કે તમે પણ કહેશો ભગવાન આવી દીકરી સૌને આપે

અનેક તાણાવાણામાં ગુંથાયેલો સમાજ સંબંધોને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. ભલે કહેવામાં આવે કે જમાનો બદલાઈ ગયો છે. તેમ છતાં લોકો જૂની રૂઢિવાદી વિચારધારા ધરાવે છે. એવામાં એ ખબર ખૂબ જ દિલચસ્પ લાગે કે એક દીકરી જેની પોતાની લગ્નની ઉંમર છે તેણે પોતાની વિધવા માતાના બીજા લગ્ન કરાવ્યા. રાજસ્થાનના જયપુરની આ દીકરીએ અનોખા લગ્નમાં જોડાવાનો નિર્ણય કર્યો અને તેના આયોજનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

જયપુરની આ દીકરીનું નામ છે સંહિતા અગ્રવાલ. સંહિતાએ પોતાની ફેસબુક વૉલ પર લખ્યું છે, ‘મે માત્ર એક પહેલ કરી છે. જો તમે સાથ આપશો તો ઘરની બહાર એ એકલા રહેલા બૂઢા લોકો નહીં મળે જે એક માળા ફેરવતા રહે છે અને એક તાકમાં રહે છે કે કોઈ તેમની સાથે વાત કરે, કોઈ તો તેમના હાલ પૂછે. ખતમ કરવી છે એ લાચારીને.’

થયું એવું કે સંહિતાના 52 વર્ષિય પિતા મુકેશ ગુપ્તાનું વર્ષ 2016માં અચાનક નિધન થઈ ગયું. પિતાનું અચાનક મોત થઈ જતા ઘર પર આફતોનો પહાડ તૂટી પડ્યો. તેના પિતાને એવી કોઈ બીમારી નહોતી કે તેમનું મૃત્યુ થઈ જાય. અચાનક પિતાની છત્રછાયા ચાલી જતા પરિવારમાં માતમ છવાયો હતો. સંહિતા અગ્રવાલની માતા ગીતા ડિપ્રેશનમાં જતી રહી. તે રાત્રે ઉઠીને દીકરીને પિતા વિશે પૂછતી હતી. તે ઘરની બહાર સીડી પર બેસીને પતિની રાહ જોતી હતી.

અફસોસ અને એકલતાના એ સમયમાં સંહિતા જ પોતાના માતાને સંભાળતી હતી. સંહિતાની મોટી બહેનના લગ્ન થઈ જતા, તે જ માતાનો આધાર હતી. પરંતુ એક દિવસ સંહિતાની નોકરી ગુરુગ્રામમાં લાગી ગઈ. જે બાદ આખા ઘરમાં માતા એકલી જ રહી. એકલતાના કારણે બીમાર રહેતી મા રાત્રે ટીવી ચાલુ કરીને સુતી હતી જેથી ઘરમાં કોઈના હોવાનો અહેસાસ રહે. સંહિતાથી પોતાની માતાની આ હાલત ન જોવાઈ. તેણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. વર્ષ 2016માં સંહિતાએ મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાની માતાની પ્રોફાઈલ બનાવી. જે બાદ તેમના માટે માંગા આવવા લાગ્યા.

સમાજમાં અનોખી મિસાલ છે સંહિતા અગ્રવાલ: સંહિતાને એક માંગુ પોતાની માતા માટે સારું લાગ્યું. 55 વર્ષના ગોપાલ ગુપ્તાએ લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો. પરંતુ જ્યારે સંહિતાએ માતાને લગ્ન માટે વાત કરી તો માતાએ ના પાડી દીધી.

ગોપાલ ગુપ્તા રેવન્યૂ અધિકારી છે. તેમના પત્નીનું કેન્સરમાં સાત વર્ષ પહેલા મોત થઈ ગયું હતું. પત્નીના મોત બાદ તેણે લગ્ન નહોતા કર્યા. પરંતુ આ સંબંધ આવ્યા બાદ તેણે લગ્નનું મન બનાવી લીધું.

લગ્નની ના પાડવા છતા ગોપાલ ગુપ્તા સંહિતાની માતાના એક મોટા ઑપરેશન સમયે હૉસ્પિટલમાં હાજર રહ્યા. જે દરમિયાન તેની નિઃસ્વાર્થ સેવાથી સંહિતાની માતા ગીતા પ્રભાવિત થઈ અને તેમણે લગ્ન માટે હા પાડી દીધી. બંનેએ પોતાના ગણતરીના સંબંધીઓને બોલાવીને આર્ય સમાજમાં લગ્ન કર્યા. જો કે માતા અને દીકરીના આ નિર્ણયનો કેટલાક સંબંધીઓએ વિરોધ કર્યો અને લગ્નમાં સામેલ ન થયા.

જો કે સંહિતાએ પોતાની વિધવા માતાના લગ્ન કરાવીને સમાજમાં અનોખી મિસાલ રજૂ કરી. સંહિતા પોતાની ફેસબુક વૉલ પર લખે છે કે, ‘મમ્મી કહેતી હતી કે લગ્ન કરવાની તારી ઉંમર છે, મારા કેમ કરાવી રહી છે. તારા લગ્નમાં સમસ્યા થશે બેટા. હવે તે જોઈ શકે છે કે સમાજ બદલાઈ ચુક્યો છે. હવે જે કરવાનું છે એ તે છે કે આ વસ્તુને સામાન્ય કરવાનું છે.

એક પિતાને જો હમસફરની જરૂર છે તો હવે સમય છે કે તે ખુલીને પોતાના બાળકો સામે વાત રાખે. એક મા જેને આપણે હંમેશા શરમના પડદામાં છુપાયેલી જોઈ છે તે પણ કહી શકે છે કે મારે પણ જીવવું છે પહેલાની જેમ.’ ખરેખર દીકરી હોય તો આવી. આવી જ સાર્થક અને સકારાત્મક પહેલથી સમાજ એક દિવસ જરૂર બદલશે.

You cannot copy content of this page