જયપુર: દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં લોકોમાં વાયરસને લઇને ભયનો માહોલ છવાયેલો છે. કેટલાક લોકો તો વાયરસથી એટલા ડરી ગયા છે કે પોતાનો જીવ આપી રહ્યાં છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચરુ જિલ્લામાં સામે આવી છે. અહીં એક ચોકીદારે કોરોના પોઝિટિવ હોવાની શંકાને કારણે આપઘાત કરી લીધો. બાદમાં જ્યારે તેનો રિપોર્ટ આવ્યો તો આસપાસ રહેતા લોકો દંગ રહી ગયા.
રાજસ્થાનના ચરુ જિલ્લાના હેડક્વાર્ટર પર કંદોઇ સદનના ચોકીદાર મુકેશ સ્વામીને કોરોના સંક્રમણ હોવાની શંકા હતી, આ શંકાને કારણે તે એટલો ડરી ગયો કે બાદમાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જ્યારે આ ઘટનાની જાણ હેલ્થ વિભાગને થઇ તો તેઓએ ટીમ મોકલી મુકેશનું સેમ્પલ લીધું હતું. સેમ્પલની તપાસ માટે બીકાનેર પીબીએમ હોસ્પિટલ મોકલવામાં આવ્યું. બાદમાં રિપોર્ટ આવ્યો કે ચોકીદાર મુકેશનો રિપોર્ટ નેગેટિવ હતો.
વિધાનસભામાં પ્રતિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે આ ઘટના પર કહ્યું કે મારા મતવિસ્તારના એક યુવકે એવું સમજી આપઘાત કર્યો કે તેને કોરોના થઇ ગયો છે. આ ઘટના ખુબ જ દર્દનાક છે. આ ઘટના એ બાબત પર ઇશારો કરે છે કે લોકો હવે કોરોના વાયરસથી ડરવા લાગ્યા છે.
રાઠોડે લોકોને અનુરોધ કરતા કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. આ એવી બીમારી નથી જેનાથી માણસનું મૃત્યુ થઇ જાય, સાથે જ તેઓએ કહ્યું કે ચિકિત્સા વિભાગના અધિકારીઓએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે લોકોમાં આ પ્રકારનો ભય ઉત્પન્ન ન થાય.
આ કેસમાં રાજકીય ડીબી હોસ્પિટલના ચિકિત્સક ડોક્ટર મનોજ શર્માએ કહ્યું કે તેઓને સૂચના મળતા જ તુરંત તેઓ મૃતકના કોરોના સેમ્પલ લેવા ગયા અને બીકાનેરની પીબીએમ હોસ્પિટલ મોકલ્યા બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી મુકેશનો રિપોર્ટ આવ્યો ન હતો ત્યાં સુધી તેના મૃતદેહને ડીપ ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો. જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત તો મુશ્કેલીઓ વધી જાત પરંતુ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.