Only Gujarat

Sports

આ કપલ લગ્ન બાદ હનિમૂન પર જવાને બદલે પ્રમુખ સ્વામીનગરમાં સેવા આપવા આવ્યું

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં પણ ભારે પડાપડી થઈ છે. આ સેવાકાર્ય માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી કેટલાક તો નોકરી છોડીને સેવા કરવા આવ્યા છે, તો કેટલાકે નોકરી જતી કરી છે. આ બધાની વચ્ચે એક નવદપંતીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે એક નવદંપતીએ લગ્ન બાદ તરત પ્રમુખ સ્વામી નગરમાં સેવા આપનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં યુવકે લગ્ન પહેલાં જ ગુણભાવિ પત્ની તથા તેનાં સાસરિયાંને લગ્ન બાદ સેવામાં જવાની વાત કરી લીધી હતી. જેનો સૌએ હરખભેર સ્વિકારી લીધી હતી.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતાં સૌમિલ કમલેશ મોદીએ પોતાની પત્ની સાથે પ્રમુખ સ્વામીનગરમાં સેવા કાર્ય કરી રહ્યા છે. અંગે સૌમિલ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 35 દિવસની સેવામાં જોડાયો છું. આ પહેલાં મારી સગાઇ એપ્રિલ-2022માં થઇ હતી. પછી અમે વિચારતા હતા કે શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે પછી રાખવી? પ્રમુખસ્વામી મહારાજ પત્રો દ્વારા માર્ગદર્શન આપતા હતા. એ જ શ્રુંખલામાં મહંત સ્વામી મહારાજને પત્ર લખીને અમે માર્ગદર્શન માગ્યું હતું. મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું, શતાબ્દી મહોત્સવ પહેલાં જ લગ્નવિધિ કરી દો. તો જ સજોડે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા થઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે મહંત સ્વામીના આશીર્વાદથી 27-11-2022ના રોજ અમે લગ્ન કર્યા હતા. લગ્નવિધિ પછી પૂર્વતૈયારીના રૂપે નગરમાં આવવા-જવાનું તો રહેતું જ હતું, પરંતુ સેવામાં 11 ડિસેમ્બર-2022ના રોજ આવી ગયાં છીએ. મારાં પત્ની પણ સત્સંગી છે અને યોગ્ય તાલીમ કેન્દ્રના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અમે લગ્ન પછી સજોડે સેવામાં અહીં જોડાઈ ગયાં છીએ.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે બાપાના આશીર્વાદ આવ્યા હતા કે લગ્નવિધિ સંપૂર્ણ કરી દેવાની છે. ત્યારથી જ અમારું પ્લાનિંગ હતું કે ફરવા તો આપણે ગમે ત્યારે જઈ શકાય છે, પરંતુ શતાબ્દી મહોત્સવ તો 100 વર્ષમાં એકવાર આવતો હોય છે. તો શતાબ્દી મહોત્સવની સેવા ચૂકી ના જવાય અને જિંદગીભર વસવસો રહી ના જાય એ માટે સેવામાં જોડાવાનો નિર્ણય લગ્ન પછી તરત જ અમે લઇ લીધો હતો. હજુ ફરવા જવાનું નક્કી નથી કર્યું. અત્યારે એક જ લક્ષ્ય છે કે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા કરીને ગુરુ હરિનો રાજીપો મેળવવો છે.

જ્યારે સૌમિલ મોદીનાં ધર્મપત્ની માનસી મોદીએ કહ્યું હતું કે મેં નર્સિંગ કર્યું છે. અત્યારે મારી સેવા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સ તરીકે છે. સેવામાં હું 11 ડિસેમ્બર-2022ના રોજ જોડાઈ છું અને 35 દિવસની સેવા છે. એટલે 18-1-2023 સુધી સેવામાં છું. 27-11-2022ના રોજ અમારા મેરેજ થયા હતા. એના 10 દિવસ બાદ અમે બંને જણા સેવામાં જોડાયાં છીએ. બાપાએ કહ્યું હતું કે આ મહોત્સવ એવો છે કે ન ભૂતો, ન ભવિષ્યતિ, એટલે સેવા અમારે અચૂક લેવી હતી. જેથી અમે ફરવા જવાનું પ્લાનિંગ કર્યું નહોતું. સેવા જેટલા દિવસની મળે એ પહેલાં લઈ લઇશું અને બાપાનો રાજીપો પ્રાપ્ત કરીશું. હજુ ફરવા જવાનું વિચાર્યું નથી. શતાબ્દીની સેવા સારી રીતે થઈ જાય અને પહેલા ગુરુ હરિનો રાજીપો પ્રાપ્ત કરી લઇએ પછી ફરવા જઇશું. અમે સત્સંગી હતા ત્યારે અમારો મેળાપ થયો.

અમદાવાદમાં જ રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા રોનક બળદેવભાઇ ધુમાલેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મારા લગ્ન 25-11-2022ના રોજ થયા હતા. અહીં હું સેવામાં 13-12-2022થી જોડાયો છું, મારા ધર્મપત્ની ગુણભાવિ છે. લગ્ન પહેલાં જ મેં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવામાં જવા અંગે વાત કરી હતી. તેઓ તૈયાર હતાં. શતાબ્દી મહોત્સવમાં સેવાનું નક્કી હોવાથી ફરવા જવાનું કોઈ પ્લાનિંગ હતું જ નહીં. હું 35 દિવસની સેવામાં છું. સેવા 18-1-2023ના રોજ પૂરી થશે. સેવા પુરી થયા બાદ ફરવા જવા અંગે ચર્ચા કરીને વિચારીશું.

સ્વયંસેવકો જોગ મહંત સ્વામીએ શું આપ્યો સંદેશો ?
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરી રહેલા સ્વયંસેવકો જોગ મહંત સ્વામીએ ઓડિયો મારફત સંદેશો જારી કર્યો છે, જેમાં મહંત સ્વામીએ દરેક સ્વંયસેવક અંગે જણાવ્યું છે કે સ્વયંસેવકો, તમે બધા જોરદાર સેવા કરી રહ્યા છો, ભગવાન આપણી સાથે છે. તમે બધા બળ ને હિંમત રાખીને સેવા કર્યે જજો. તમને બધાને આશીર્વાદ છે કે બધાને ખૂબ બળ ને હિંમત રહે.

You cannot copy content of this page