મુંબઈઃ કોરોનાવાઇરસના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. હાલમાં કરોનાના કેસની સંખ્યા 1.16M કરતાં વધુ છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અત્યાર સુધી બચ્ચન પરિવારથી લઈ સિંગર કનિકા કપૂર સુધીના અનેક સેલેબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો કન્નડ ફિલ્મના એક્ટર ધ્રુવ સરજા અને તેમની પત્ની પ્રેરણા પણ કોરોના સંક્રમિત થયાં પછી, હવે વધુ એક એક્ટ્રસ કોરોના સંક્રમિત થઈ છે. સાઉથના સુપરસ્ટાર અર્જુન સરજાની દીકરી ઐશ્વર્યા અર્જુન પણ કોરોના સંક્રમિત થઈ છે.
ઐશ્વર્યા પ્રેરણાએ ખુદ કોરોના સંક્રમિત હોવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ એક સ્ટોરીમાં પોસ્ટ લખી હતી કે, ‘તે કોવિડ-19 સંક્રમિત થઈ છે. એવામાં તે ઘરે ક્વૉરન્ટીન છે અને જરૂરી દવા અને સાવચેતી રાખી રહી છે.’
એશ્વર્યાએ વધુમાં લખ્યું કે, ‘હું એક પ્રોફેશનલ મેડિકલ ટીમ દ્વારા જણાવવામાં આવલી દરેક જરૂરી વાતોનું ધ્યાન રાખી ઘરમાં ક્વૉરન્ટીન છું. છેલ્લાં કેટલાંક સમયથી મારા સંપર્કમાં અનેક લોકો આવ્યા છે, કૃપા કરીને તે પોતાનું ધ્યાન રાખે અને કોરોનાનો ટેસ્ટ કરાવી લે અને માસ્ક જરૂર પહેરે.
આ પહેલાં, એશ્વર્યાના કઝિન ભાઈ ધ્રુવ સરજાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું અને મારી પત્ની હલકા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ થયાં છીએ અને એટલાં માટે અમે હોસ્પિટલમાં દાખલ થયાં છીએ. મને વિશ્વાસ છે કે, અમે જલદી સાજા થઈને પાછા આવીશું. જે લોકો અમારી નજીક આવ્યા, તેમને રિક્વેસ્ટ છે કે, તે દરેક તેમની તપાસ કરાવી લે અને સુરક્ષીત રહે.’
ઉલ્લેખનીય છે કે, ધ્રુવ સરજાએ ગયા નવેમ્બર, 2019માં ગર્લફ્રેન્ડ પ્રેરણા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા સ્ટાર પણ સામેલ થયા હતાં.
ધ્રુવ જલદી જ અપકમિંગ ફિલ્મ ‘પોગારુ’માં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. ધ્રુવ, ચિરંજીવી સરજાના નાના ભાઈ છે, જેમનું ગયા મહિને 7 જૂને એટેક આવતાં નિધન થયું હતું. આ સાથે જ ધ્રુવ એક્શન કિંગ અર્જુન સરજાના ભત્રીજા પણ છે.