દુનિયાભરમાં કોરોના મહામારી ચરમસીમાએ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે એટલું જ નહીં કોરોનાનો ડર એટલો ભયાનક છે કે કોઇ કોરોના સંક્રમિત થઇ જાય તો તે હિમ્મત હારી જાય છે. પરંતુ અમદાવાદના એક 95 વર્ષિય વૃદ્ધે સકારાત્મકતા અને હિમ્મતની સાથે આ મહામારી વિરુદ્ધ હથિયાર બનાવ્યા અને માત્ર 6 દિવસમાં કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા.
અમદાવાદમાં રહેતા વૃદ્ધ વિષ્ણુ પંડ્યાને એક સપ્તાહ પહેલા શ્વાસની તકલીફ બાદ તેના પૌત્ર દિપકે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તપાસ કર્યા બાદ વિષ્ણુભાઇને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગંભીર હાલત જોતા ડોક્ટરોએ તેઓને કોવિડ કેર હોસ્પિટલમાં આઇસીયુમાં શિફ્ટ કર્યા હતા. અહીં તેમની સતત સારવાર ચાલી અને રોજ સારા રિપોર્ટ આવવા લાગ્યા.
હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર સ્વાગત શાહે જણાવ્યું કે વૃદ્ધને જ્યારે ભરતી કરવામાં આવ્યા હતા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ડાઉન હતું. તેમને દર મિનિટે 25થી 30 લીટર ઓક્સિજન આપવામાં આવી. વૃદ્ધ સીઓપીડી અને યુનિનેરી સમસ્યાથી પરેશાન હતા. તેમનું એક ઓપરેશન પણ થઇ ચૂક્યું છે.
આ બધી બીમારી છતાં તેઓ કોરોના સામેની જંગ જીતી ગયા. તેઓની રિક્વરીનો રેટ બધા લોકો માટે આશાની કિરણ બનીને સામે આવ્યો છે. સાજા થવા પાછળ ઇચ્છા શક્તિ અને પોઝિટિવ વિચાર છે. હવે તેઓ સંપૂર્ણ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
જ્યારે વૃદ્ધ વિષ્ણુ પંડ્યા પોતા ઘરે પહોંચ્યા તો લોકોએ તાળી વગાડી ફૂલથી તેઓનું સ્વાગત કર્યું હતું. વૃદ્ધના 28 વર્ષના પૌત્ર દિપક પંડ્યાએ જણાવ્યું કે મારા દાદાજીને અનેક સ્વાસ્થ્યને લગતી તકલીફો છે. તેમની જે સ્થિતિ હતી તે જોઇને અમે તો હાર જ માની લીધી હતી. પરંતુ દાદાજીની ઇચ્છાશક્તિએ તેઓને ફરીથી સાજા કરી દીધા. તેમની અગાઉ બે સર્જરી પણ થઇ ચૂકી છે.
જાણકારી પ્રમાણે વૃદ્ધ હોસ્પિટલમાં દરેક સમયે ધાર્મિક ચેનલ જોતા હતા. સાથે જ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ સાથે પ્રેમાળ વર્તન કરતા હતા. તેમને જોઇને એવું નહતું લાગતું કે તેઓ કોરોના સંક્રમિત છે. તેઓ કહેતા કે હું ટુંક સમયમાં જ સાજો થઇ ઘરે પરત ફરીશ.