પાલનપુરઃ કોરોના મહામારીની વચ્ચે એન્સેફાલોમનઝાઈટીસથી પીડિત ડીસાની ભૂમિ ચૌધરી યુરોપિયન દેશ આરમેનિયામાં નિધન થયું હતું. ભૂમિની છેલ્લી ઈચ્છા ભારત આવવાની હતી પરંતુ તે પૂરી થઈ શકી નહીં. વિદેશ સ્ટડી માટે ગયેલી પુત્રીના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભૂમિને ભારત લાવવા માટે પરિવારજનોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા, પણ કોરોનાને કારણે હવાઈ સેવા બંધ હોવાથી તેમાં સફળતા મળી નહોતી.
છેલ્લાં 21 દિવસથી આઈસીયુમાં હતી
ભૂમિ ડિસેમ્બરમાં જ ચીનથી આરમેનિયા મેડિકલના અભ્યાસ માટે ગઈ હતી. અહીંયા તે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીમાં એમબીબીએસનો પાંચ વર્ષનો અભ્યાસ કરતી હતી. જોકે, 20-21 દિવસ પહેલાં જ અચાનક જ તેને માથામાં દુખાવો થયો હતો.
હોસ્પિટલમાં દાખલ કરાઈ
માથાનો દુખાવો થતાં ભૂમિને આરમેનિયાની હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીંયા તેને એન્સેફાલોમનઝાઈટીસ એટલે કે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. અહીંયા ભૂમિ પોતાની બહેન તથા અન્ય મિત્રો સાથે રહેતી હતી. નિધનના છેલ્લાં ત્રણ દિવસમાં ભૂમિની તબિયત સાવ કથળી ગઈ હતી.
ભૂમિને ભારત આવવું હતું
ભૂમિને ન્યૂમોનિયા થયો હતો. ત્યારબાદ કિડનીને નુકસાન થયું હતું. ત્યારબાદ એક પછી એક અંગો પર અસર થઈ હતી. યુરોપીયન ડોક્ટર્સે પછી ભૂમિને એર એમ્બ્યૂલન્સ દ્વારા ભારત લઈ જવાની વાત કરી હતી. ભૂમિ ભારતની ધરતી આવે તે પહેલાં જ તેનું નિધન થઈ ગયું હતું. 21-21 દિવસોથી લડી રહેલી ભૂમિ અંગે જીવનના જંગમાં હારી ગઈ હતી. તેના અંગોએ એક પછી એક કામ કરવાનું બંધ કરી દીધું હતું.
પિતા તથા સગાઓએ કરી અપીલ
ભૂમિના પિતા નરસિંહભાઈ ચૌધરીએ બનાસકાઠામાં સગાઓ તથા મિત્રોની મદદથી ગુજરાતના સીએમ, દેશના પીએમ સહિત વિવિધ નેતાઓને ભૂમિને પરત લાવવાને લઈ ટ્વીટ કરી હતી. જોકે, ભારતમાં લૉકડાઉન હોવાને કારણે ફ્લાઈટ્સ બંધ હતી.
એર એમ્બ્યૂલન્સનો ખર્ચ 60 લાખ રૂપિયા
યુરોપથી ભારત એર એમ્બ્યૂલન્સ લાવવાનો ખર્ચ 60 લાખ રૂપિયા જેટલો હતો. આ માટે બહેન સિદ્ધિ તથા મિત્રોએ ક્રાઉડ ફંડીગ સાઈટ કેટો પર ભંડોળ ભેગુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ત્યાં માત્ર 20,564 રૂપિયા જ ભેગા થઈ શક્યા હતાં. સગાઓએ બેંક અકાઉન્ટમાં સીધા નાણા જમા કરાવવા માટે પણ બેંક ડિટેલ્સ આપી હતી. જોકે, તેમાં કેટલા પૈસા ભેગા થયા તે જાણી શકાયું નથી.